એક સમયે કચ્છમાં વિચરતાં હતાં હાથીનાં ઝુંડ, હિપોપૉટેમસ અને જિરાફ 

23 August, 2019 10:11 AM IST  |  કચ્છ | ઉત્સવ વૈદ્ય

એક સમયે કચ્છમાં વિચરતાં હતાં હાથીનાં ઝુંડ, હિપોપૉટેમસ અને જિરાફ 

એક સમયે કચ્છમાં વિચરતાં હતાં હાથીનાં ઝુંડ, હિપોપૉટેમસ અને જિરાફ 

પ્રણાલિકાગત રીતે દુષ્કાળિયા ગણાતા રણપ્રદેશ કચ્છમાં એક સમયે વિવિધ પ્રકારનાં પક્ષીઓ, પાણીનાં ઝરણાં, માછલીઓ તો ઠીક; જિરાફ અને હાથીનાં ઝુંડ, વિશાળકાય મગરમચ્છો અને હિપોપૉટેમસ જેવાં પ્રાણીઓ વિચરતાં હોવાનું ‘હિસ્ટોરિકલ બાયોલૉજી’ નામના જર્નલમાં પ્રગટ થયેલા એક સંશોધનલેખમાં જણાવાયું છે. ભારત અને ફ્રાન્સના સંશોધકોએ કચ્છના રાપર તાલુકાના પલાસવા ગામથી મળી આવેલા જીવાશ્મિ પર ૧૨ વર્ષ સુધી સંશોધન કરીને આ તારણ મેળવ્યું છે. આ સંશોધન-ટીમમાં વિવેશ કપૂર, માર્ટિન પિકફોલ્ડ, ગૌરવ ચૌહાણ અને કચ્છ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંશોધક ડૉ. મહેશ ઠક્કરનો સમાવેશ છે. આ સંદર્ભમાં ડૉ. મહેશ ઠક્કરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે રાપર તાલુકાના પલાસવા ગામથી કેટલાંક પાંસળીઓનાં હાડકાં, દાંત અને હાડકાંના અવશેષ મળી આવ્યા હતા જેના પર આ સંશોધન કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

હાલમાં ગરમ અને સૂકી આબોહવાવાળો રણપ્રદેશ કચ્છ એક સમયે ભેજવાળી આબોહવા ધરાવતો એક વિસ્તાર હતો અને એમાં ગાઢ જંગલ હતાં.૧૪૦ લાખ વર્ષ પહેલાં માયોસેન તરીકે ઓળખાતા ભૌગોલિક સમયગાળા દરમ્યાન કચ્છમાં હિપોપૉટેમસ અને જિરાફ સહિતનાં પ્રાણીઓ મોટી સંખ્યામાં હતાં. કચ્છમાં અત્યાર સુધીમાં મળી આવેલા મોટા ભાગના જીવાશ્મિઓ દરિયાઈ છે, કારણ કે કચ્છ દરિયાને અડીને આવેલો જિલ્લો છે. આ સંશોધનમાંથી એ પણ જાણવા મળ્યું છે કે સસ્તન વર્ગનાં પ્રાણીઓ કેવી રીતે આફ્રિકા ખંડથી છેક ભારતીય ઉપખંડ સુધી વિસ્તર્યાં હતાં. એ વાત આશ્ચર્યજનક અને રોમાંચકારી છે કે કચ્છમાં પણ આફ્રિકા ખંડની જેમ જિરાફ, હિપોપૉટેમસ, હાથીઓ અને મહાકાય મગરમચ્છોની હાજરી હતી. કચ્છમાંથી અનેક જીવાશ્મિઓ મળતા રહ્યા છે અને આવા જળચર અશ્મિઓનો વ્યાપ કચ્છથી પાકિસ્તાન થઈને છેક નેપાલ સુધી વિસ્તરેલો છે.

bhuj kutch