નવરાત્રિ મુદ્દે ગુજરાત સરકારનો યુ ટર્ન: મંદિરમાંથી પ્રસાદ પૅકેટમાં મળશે

15 October, 2020 11:44 AM IST  |  Gandhinagar | Agency

નવરાત્રિ મુદ્દે ગુજરાત સરકારનો યુ ટર્ન: મંદિરમાંથી પ્રસાદ પૅકેટમાં મળશે

પ્રસાદ

પાંચ દિવસ પહેલાં રાજ્ય સરકારે રાજ્યમાં કોઈ પણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેની ગાઇડલાઇન્સમાં નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જોકે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી, જેને પગલે ગઈ કાલે મળેલી રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું કે નવરાત્રિમાં પ્રસાદ માટેની એસઓપીમાં ફેરફાર કરી પૅકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાને જણાવ્યું કે ૭ જૂન ૨૦૨૦થી રાજ્ય સરકારે નક્કી કર્યું કે રાજ્યનાં તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈ પણ મંદિર દર્શન માટે બંધ કર્યાં નથી. નવરાત્રિના સમયે કેટલીક જગ્યાએ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી તેમ જ કેટલાંક મંદિર પર્વતની ટોચ પર આવેલાં હોવાથી જો લાખો દર્શનાર્થીઓ દર્શને જાય તો સંક્રમણ ફેલાઈ શકે છે.

મીઠાઈના ધંધાને નુકસાન અટક્યું

જે-તે ટ્રસ્ટોએ પોતાની સગવડ અને પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લીધા છે. આ નિર્ણય સ્થળ, પરિસ્થિતિ અને કોરોના સંક્રમણ વધે નહીં એ માટે કર્યા છે. સરકારના આ નિર્ણયને કારણે મીઠાઈના વેપારીઓને હવે નુકસાન વેઠવું નહીં પડે. સરકારે પૅકેટ બનાવીને પ્રસાદ વેચવાની મંજૂરી આપી હોવાથી એનો બગાડ પણ નહીં થાય. મીઠાઈના વેપારીઓના અંદાજ પ્રમાણે છેલ્લા છ મહિનામાં ધંધો માત્ર ૨૦ ટકા જેટલો જ રહી જતાં આશરે ૭૦૦ કરોડનું નુકસાન થયું છે. સરકારે પડતા પર પાટુ મારી નવરાત્રિમાં પ્રસાદ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી ૭૦૦ કરોડનું નુકસાન થતું અટકી જશે. સીંગ-સાકરિયા, રેવડી, ટોપરાની છીણ, પિપરમિન્ટ કે એવો છૂટો પ્રસાદ નાની થેલીઓમાં કે પેપરમાં પૅક થઈ શકે, જેથી લોકો જાતે લઈ શકે. મીઠાઈના વેપારીઓ પણ એક વ્યક્તિ મીઠાઈ લઈ શકે એવા પૅકેટમાં એ પૅક કરી શકે.

પાવાગઢ મંદિર બંધ

કોરોનાને કારણે ભક્તોની ભક્તિને મોટી અસર પડી રહી છે. આવામાં કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે અનેક નિર્ણયો લેવામાં આવે છે. આવામાં નવરાત્રિના ઇતિહાસમાં પ્રથમ વખત પાવાગઢ મંદિર બંધ રહેવાનું છે એવી જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. દર્શનાર્થીઓ માત્ર માતાનાં વર્ચ્યુઅલ દર્શન કરી શકશે. મંદિરની વેબસાઇટથી ભક્તો મા પાવાગઢવાળીનાં દર્શન કરી શકશે. તો બીજી તરફ, નવરાત્રિને લઈ આવતા દર્શનાર્થીઓને વિવિધ જગ્યાઓ પર એલઈડીથી વર્ચ્યુઅલ દર્શન કરી શકાશે એવી વ્યવસ્થા કરવામાં આવશે. નવરાત્રિના પર્વમાં પાવાગઢ મા કાળીનું અનેરું મહત્ત્વ હોય છે. મોટી સંખ્યામાં લોકો અહીં મંદિરમાં દર્શન કરવા આવતાં હોય છે ત્યારે આવામાં કોરોના ન વકરે એ હેતુથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પાવાગઢની આસપાસનો વિસ્તાર પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યો હોવાથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓની સતત અવરજવર રહે છે.

gujarat gandhinagar navratri