બજેટથી નિરાશ સુરતી રત્ન કલાકારોનું હડતાળનું એલાન

29 February, 2020 07:46 AM IST  |  Surat

બજેટથી નિરાશ સુરતી રત્ન કલાકારોનું હડતાળનું એલાન

પ્રતીકાત્મક તસવીર

રત્ન કલાકારોના પ્રોફેશનલ ટૅક્સ રદ કરવા સહિત વિવિધ માગણીઓને લઈ આગામી ત્રણ દિવસ માટે સુરત રત્ન કલાકાર સંઘ પ્રતીક ઉપવાસ, ધરણાં સહિત એક દિવસની હડતાળ પાડવા માટે જઈ રહ્યો છે. રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રત્ન કલાકારોની માગણીને ધ્યાનમાં લેવાઈ નથી. આ કારણે સુરત રત્નકલાકાર સંઘ દ્વારા હડતાળ બાબતે પત્રકાર-પરિષદ યોજી જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા હાલ જ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે બજેટની અંદર રત્ન કલાકારોની માગણી અને રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી નથી. રત્ન કલાકારોના પ્રોફેશનલ ટૅક્સ રદ કરવા તેમ જ વિવિધ પડતર માગણીઓ અંગે છેલ્લાં પાંચ-પાંચ વર્ષથી સુરત રત્ન કલાકાર સંઘ રાજ્ય સરકારમાં રજૂઆત કરતો આવ્યો છે. હાલ જ બજેટ રજૂ થવા પહેલાં સંઘ દ્વારા રાજ્ય સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે બજેટમાં રત્ન કલાકારોના પડતર પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે. પરંતુ એમ છતાં સંઘની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી નહોતી. જ્યાં આખરે હવે સંઘ દ્વારા હડતાળ, ધરણાં સહિત પ્રતીક ઉપવાસની રણનીતિ ઘડી નાખવામાં આવી છે.

surat gujarat