10 June, 2019 01:08 PM IST | ગાંધીનગર
PM મોદી ઓક્ટોબરમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીની લઈ શકે મુલાકાત
વડાપ્રધાન મોદી તેમની કેબિનેટના મંત્રીઓ અને કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓ સાથે સ્ટેચ્યૂ ઑફ યુનિટી આવી શકે છે. આ મુલાકાત 31 ઓક્ટોબરની રોજ લેવામાં આવી શકે છે. કારણ કે એ દિવસે સરદાર પટેલનો જન્મદિવસ છે જેઓ દેશના પહેલા નાયબ મુખ્યમંત્રી હતા. દેશના લોખંડી પુરૂષ તરીકે જાણીતા સરદાર સાહેબની આ પ્રતિમા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે.
દિલ્હીની બહાર મળી શકે કેબિનેટ બેઠક
વડાપ્રધાન મોદીની આ મુલાકાતને લઈને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ગાંધીનગરમાં મુખ્ય સચિવ અને રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી. શક્યતાઓ એવી પણ છે કે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં યોજાય. જો આવું થાય તો દિલ્હીની બહાર યોજાનારી આ પહેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક હશે.
IAS, IPS અને IFSની યોજાશે કોન્ફરન્સ
મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર તાલિમાર્થી IAS, IPS અને IFS અધિકારીઓ માટે ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે કરવાનો વિચાર કરી રહી છે. વડાપ્રધાન મોદી, સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અન્ય અધિકારીઓ આ કોન્ફરન્સમાં હાજરી આપશે. જેના સમાપન વખતે વડાપ્રધાન મોદી સંબોધન કરશે.
250 કરોડ કરાશે અર્પણ
રાજ્ય સરકારના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી 250 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસના કામ માટે પણ અર્પણ કરશે. તેઓ અનેક જાહેર ઈવેન્ટમાં ભાગ લેશે અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની સાઈટ પર તેઓ રાત્રિ રોકાણ પણ કરી શકે છે.
આ પણ વાંચોઃ 13-14 જૂને શાહની અધ્યક્ષતામાં મળશે બીજેપી નેતાઓની બેઠક
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે સરદારની પ્રતિમા
સરદારની આ પ્રતિમા 182 મીટર છે. અને તે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે 31 ઓક્ટોબરે એટલે કે સરદાર સાહેબના જન્મદિવસે કર્યું હતું. અને આ સ્થળ હવે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અત્યાર સુધીમાં લાખો પ્રવાસીઓ તેની મુલાકાત લઈ ચુક્યા છે.