30 November, 2020 04:10 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવ (તસવીર ગુજરાત બીજેપી ટ્વિટર)
આજે ગુજરાત ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) સોમવારના દેવ દિવાળીના દિવસે અમદાવાદના (Ahmedabad) 2 ઓવરબ્રિજનું (OverBridge) ઇ-લોકાર્પણ કર્યું. શહેરના પકવાન તેમજ સરખેજ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શહેરનાં મેયર બિજલ પટેલ સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બંન્ને ફ્લાયઓવર 71 કરોડને ખર્ચે બનાવાયા છે હવે લોકોને ટ્રાફિક જામ ની સમસ્યામાંથી મુક્તિ મળશે. આગામી બે વર્ષમાં ચિલોડાથી સરખેજ સુધીનો 44 કિલોમિટરનો હાઇવે ફોર લેનમાંથી સિક્સ લેન બનાવાશે.
ટ્રાફિકની વધતી સમસ્યાને પગલે અહીં સિક્સ લેન પ્રોજેક્ટ કરવાની અરજ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કરી અને તની અનુમતિ મળતા આ પ્રોજેક્ટની જાહેરાત કરાઇ. આ સિક્સલેન હાઇવે પર લેન્ડ સ્કેપિંગ પણ કરાશે અને હાઇવેની બંન્ને તરફના રસ્તાઓ ગાર્ડનિંગ સહિત બનાવાશે સાથે હાઇ વે પરના બે રેલ્વે બ્રિજને પણ સાત-આઠ લેન પહોળા કરાશે.એસ.જી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ જંકશનથી ઝાયડસ હોસ્પિટલ સર્કલ સુધીનો એલિવેટેડ ફ્લાયઓવર ભારતનો પાંચમો સૌથી લાંબો એલિવેટેડ ફ્લાયઓવર હશે. દેશમાં પહેલો એલિવેટેડ ફ્લાયઓવર હૈદરાબાદમાં પીવીએનઆર, બીજો બેંગ્લોરમાં હોસુર રોડ એક્સપ્રેસ રોડ, ચેન્નાઇમાં ઇસ્ટ કોસ્ટ એક્સપ્રેસ વે અને દિલ્હીમાં બાદરપુર એલિવેટેડ એક્સપ્રેસ વે છે.