માલપુર: બ્રિજ પર જાનૈયાઓના ટ્રૅક્ટરને ટ્રકે ટક્કર મારતાં 6નાં મોત

26 February, 2020 07:43 AM IST  |  Malpur

માલપુર: બ્રિજ પર જાનૈયાઓના ટ્રૅક્ટરને ટ્રકે ટક્કર મારતાં 6નાં મોત

પ્રતીકાત્મક તસવીર

માલપુરના વાત્રક નદી પરના બ્રિજ પર એક ટ્રૅક્ટરને ટ્રકે ટક્કર મારતાં મામેરું લઈને જતા પરિવારના ૬ સભ્યોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે ૧૫થી વધારે ઘાયલ થયા હતા. મેઘરજના બેલ્યો ગામથી મામેરું લઈને જતા પરિવારના ટ્રૅક્ટરમાંથી પાંચ જણનાં નદીમાં ખાબકતાં ડૂબવાથી અને એકનું સારવાર દરમિયાન મોત થયાં હતાં. આ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

સોમવારે સાંજે મેઘરજના બેલ્યો ગામથી વીરાભાઈ ચમાર અને તેમના ત્રણ ભાઈઓ માલપુરના મહિયાપુર ગામે તેમનાં બહેન લાડુબહેન પરમારના ઘરે પુત્રનાં લગ્ન હોવાથી પરિવારજનો અને ગ્રામજનો ૩૨ જેટલા લોકો ટ્રૅક્ટરમાં મામેરું લઈ નીકળ્યા હતા. માલપુર નજીક વાત્રક પુલ પરથી પસાર થતાં પાછળથી આવતા ડમ્પરે (ટ્રકે) ટક્કર મારતાં ટ્રૅક્ટર પુલની દીવાલ સાથે અથડાતાં પુલની રેલિંગ તૂટતાં ટ્રૅક્ટરમાં બેઠેલા ૬ લોકો નદીમાં ખાબક્યા હતા. સદ્નસીબે ટ્રૅક્ટર દીવાલને અથડાઈને અટકી ગયું હતું.

આ પણ વાંચો : બાલદીઓ ભરીને તૈયાર રાખજો, 28મીએ સુરતના 70 ટકા વિસ્તારમાં પાણીકાપ મુકાશે

ટ્રૅક્ટરમાં બેઠેલા લોકો નદીમાં ખાબકતાં અને ૨૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં હાઇવે પર ટ્રાફિક જૅમ થયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાતાં સતત ૧૦૮ ઇમર્જન્સી ઍમ્બ્યુલન્સ અને અન્ય ઍમ્બ્યુલન્સના સાયરનના અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. લગ્નપ્રસંગ માતમમાં છવાતાં પરિવારજનોએ આક્રંદ કરી મૂકતાં વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. જિલ્લા પોલીસતંત્ર વહીવટી તંત્ર, ફાયર-બ્રિગેડ ટીમ અને સેવાભાવી લોકોએ આખી રાત વાત્રક નદી ખૂંદી નાખી હતી. ઘટનાની ગંભીરતાના પગલે એનડીઆરએફની ટીમ પણ ગાંધીનગરથી દોડી આવી નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી.

gujarat