09 November, 2019 08:02 AM IST | Junagadh
લીલી પરિક્રમાની થઈ શરૂઆત
લીલી પરિક્રમાની રાતે ૧૨ વાગ્યાથી વિધિવત શરૂઆત કરવામાં આવી, પરંતુ ભાવિકોના વધતા ધસારાને લઈને ગુરુવાર રાતથી જ ભાવિકોએ શરૂઆત કરી દીધી છે. ગિરનાર પરિક્રમામાં થાકેલા ભાવિકો મીઠી નીંદર માણી શકે એ માટે ગુપ્તપ્રયાગના બ્રહ્મચારી સંતો દ્વારા રેનબસેરાના પંડાલ ઊભા કરવામાં આવ્યા છે. એક લાખથી વધુ ભાવિકોએ પરિક્રમાની શરૂઆત કરી દીધી છે.
છેલ્લા પડાવ બોરદેવી ત્રણ રસ્તા નજીક નળપાણીની ઘોડી ઊતરીને આવતા વૃદ્ધો અને નાનાં બાળકો માટે રેનબસેરાનો પંડાલ ઊભો કરવામાં આવ્યો છે; જેમાં ભાવિકોને ગોદડાં, ચાદર અને ઓશીકાં વિનામૂલ્યે આપવામાં આવશે. કુદરતી વાતાવરણમાં ભાવિકો ચૂલો બનાવી ભોજન બનાવી રહ્યા છે. જોકે મોટા ભાગના ભાવિકો અન્નક્ષેત્રોનો લાભ લઈ રહ્યા છે.જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમરાએ જણાવ્યું હતું કે પરિક્રમાના પ્રસ્થાન રૂટ એવા ઇન્દ્રભારતી બાપુના ગેટ પાસે તેમ જ દત્તચોક ખાતે ૨૪ કલાક માટે માહિતી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. આ માહિતી કેન્દ્રો પરિવારથી વિખૂટા પડેલાની સહાય કરશે.
આ ઉપરાંત ભવનાથ તેમ જ ઉતારા મંડળની પાણી, સફાઈ, વીજળી વગેરેની સમસ્યા હશે તો એનું નિરાકરણ કરશે. જ્યારે યાત્રિકો માટે હેલ્પલાઇન નંબર સાથે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.