09 September, 2020 03:20 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વડોદરાની સયાજી હૉસ્પિટલમાં આગ
ગુજરાતની હૉસ્પિટલોમાં આગનો સિલસિલો ચાલુ રહેવા પામ્યો છે. ગઈ કાલે વડોદરાની સર સયાજી હૉસ્પિટલમાં જ્યાં કોવિડના પેશન્ટ સારવાર લઈ રહ્યા હતા એ આઇસીયુ વૉર્ડમાં શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અચાનક રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયર-બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લીધી હતી તેમ જ હૉસ્પિટલ તંત્ર સાથે મળીને ૩૮ દર્દીઓને રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર લાવી દીધા હતા. સદ્નસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.
વડોદરાનાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘આઇસીયુમાં આ બનાવ બન્યો હતો. ૩૮ જેટલા દર્દીઓને રેસ્ક્યુ કરાયા છે અને તમામને બચાવી લેવાયા છે, કોઈ જાનહાની થઈ નથી. આ દર્દીઓને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે.’
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમદાવાદ અને જામનગરની હૉસ્પિટલમાં પણ આગની ઘટના બની ચૂકી છે.