18 May, 2019 01:06 PM IST | ગાંધીનગર
બિયારણ મામલે આપી માહિતી
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ પંચશતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા માટે આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ખાતરની બોરીઓની તપાસ કરતાં ખબર પડી કે ૫૦ કિલોની બોરીમાં ઍવરેજ ૨૫૦થી ૨૭૫ ગ્રામ ખાતર ઓછું નીકળતું હતું, જે ૫૦ કિલોની બોરીમાં અડધા ટકાથી પણ ઓછું થાય છે. એનો હિસાબ કરીએ તો ૧૦ રૂપિયાનો ફરક પડે છે અને દરેક બૅગ પૅક જ હતી, જેથી એક શક્યતા એ છે કે જ્યારે ભેજ ચુસાઈ જાય ત્યારે વજન થોડું ઘટી શકે છે, જેની તપાસ હાલ ચાલી રહી છે. અને બીજું એ કે આૅટોમેટીક મશીનો પર બૅગો ભરાય છે. ત્યાં વજનમાં કોઈ ગરબડ નથીને અની પણ તપાસ કરાઈ રહી છે. પરંતુ મૂળ વાત એ છે કે આ કૌભાંડ નથી. સરકારે નિર્ણય કર્યો છે કે બધી બૅગોમાં ફરીથી ખાતર ભરવું અને ૫૦ કિલો પૂરું ખાતર ખેડૂતોને આપવામાં આવે. જેમ-જેમ બૅગો ભરાઈ જાય છે તેમ-તેમ ખાતર આપવાનું શરૂ કર્યું છે. ૩ દિવસમાં નૉર્મલ થઈ જશે.
નકલી બિયારણ વિશે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે બિયારણના વિક્રેતાઓને ત્યાં અમે દરોડા પાડીએ છીએ જેથી ખેડૂતોને ભવિષ્યમાં નકલી બિયારણથી સીઝન ફેલ ન જાય. અમે દર વખતે દરોડા પાડીને આવા વેપારીઓને પકડીએ છીએ અને કડકમાં કડક પગલાં લઈએ છીએ. બિયારણમાં કોઈ કૌભાંડ નથી, ત્રણ દિવસમાં મામલો થાળે પડશે.