ધારાસભ્યોના પગારમાં મૂક્યો ૩૦ ટકાનો કાપ

03 September, 2020 03:45 PM IST  |  Gandhinagar | Agencies

ધારાસભ્યોના પગારમાં મૂક્યો ૩૦ ટકાનો કાપ

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારી સંદર્ભે રાજ્ય સરકારે આજે મળેલી કૅબિનેટની બેઠકમાં વધુ એક નિર્ણય લીધો છે. ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકાનો જે કાપ મૂક્યો છે તે અંગેનું વિધાનસભા સત્રમાં વિધેયક લાવવામાં આવશે. આ અંગે સંસદીય રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રાજ્ય સરકારે ધારાસભ્યો, પ્રધાનો, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પ્રવર્તમાન મૂળ પગારમાં ૧ એપ્રિલથી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી એક વર્ષના સમયગાળા માટે ૩૦ ટકા કાપ મૂકવાનો અગાઉ નિર્ણય કર્યો હતો. જે અંગે એપ્રિલ, ૨૦૨૦માં વટહુકમ બહાર પાડી તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આગામી વિધાનસભા સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવશે. આ નિર્ણયથી પદાધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ઘટાડો થતાં એક વર્ષના ગાળામાં અંદાજે રૂા. ૬ કરોડ ૨૭ લાખની બચત થશે, જે રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે.
પ્રધાન જાડેજાએ ઉમેર્યું કે કોરોના મહામારીના સંદર્ભમાં નાણાકીય ખર્ચમાં બચત થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકારે અનેકવિધ પગલાં લીધાં છે ત્યારે કેટલાક ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા વ્યક્તિગત રીતે રાજ્ય સરકારને નાણાકીય મદદ કરવા માટે તત્પરતા દર્શાવાયેલી હતી. આ અંગે એકસમાન નીતિ અખત્યાર કરવાના હેતુથી રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ધારાસભ્યો અને પદાધિકારીઓના મૂળ પગારમાં ૩૦ ટકાનો કાપ એપ્રિલ, ૨૦૨૦થી એક વર્ષના સમયગાળા માટે અમલી રહે તે રીતની જોગવાઈ કરતો વટહુકમ બહાર પાડી સંબંધિત કાયદાઓમાં સુધારો કરવાનો નિર્ણય કરી તેની અમલવારી શરૂ કરી છે.

gujarat coronavirus covid19