08 September, 2020 06:58 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ભાજપ
ગુજરાત ભાજપ (Gujarat Bjp) અધ્યક્ષ સીઆર (C R Patil) પાટિલ કોરોના (Covid-19) સંક્રમિત થયા બાદ પ્રદેશ ભાજપમાં ચિંતાનો માહોલ છે. પાટિલ અધ્યક્ષ બન્યા પછી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિત ઘણાં શહેરોમાં પ્રવાસ કરી ચૂક્યા છે, તેમણે પાર્ટીના હજારો કાર્યકર્તા તેમજ નેતા મળી ચૂક્યા છે. તો, પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પણ સાત લોકો કોરોના સંક્રમિત થયા છે. અપોલો હૉસ્પિટલમાં દાખલ પાટિલે કહ્યું હતું કે તેમનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જો કે આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી હતો જે હવે પૉઝિટીવ આવ્યો છે. ગુજરાત ભાજપના નવા નિયુક્ત થયેલા અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ પાર્ટીની કમાન સંભાળ્યા પછી જનસંપર્કમાં હતા.
દક્ષિણ ગુજરાતની સાથે તેઓ અત્યાર સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક શહેરો તેમજ ગામડાઓમાં રેલી, સભા તેમજ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ચૂક્યા છે. પાટિલના આ પ્રવાસને લઈને રાજકારણ તેમજ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ
ટીકા પણ થઈ રહી હતી. કોરોના મહામારી દરમિયાન હજારો કાર્યકર્તાઓ વચ્ચે જનસંપર્ક તેમજ રેલી કાઢવા માટે પાટિલને આડે હાથ લેવામાં આવતાં હતા. આખરે મંગળવારે એ થયું જેની શંકા હતી. કોરોના સંક્રમણની શંકા પછી પાટિલ પોતે ગાંધીનગરની અપોલો હૉસ્પિટલમાં દાખલ થયા, જો કે મેડિકલ ચેકઅપ તેમજ તપાસ પછી તેમણે ટ્વિટર પરથી એક સંદેશ આપીને જમાવ્યું કે મારી તબિયત બરાબર છે, અને હાલ સ્વસ્થ છું.
આ પહેલા ગુજરાત ભાજપના પ્રેદશ પ્રવક્તા ભરત પંડ્યા, પૂર્વ મંત્રી જયંતી કવાડિયાએ પણ સોસિયલ મીડિયા પર પોતે કોરોના સંક્રમિત હોવાની વાત કરતાં કહ્યું કે ડૉક્ટરની સલાહથી હૉમ ક્વૉરંટાઇનમાં છું. છેલ્લા કેટલાક દિવસથી મારા સંપર્કમાં આવનાર બધા નેતા તેમજ કાર્યકર્તાઓને મારી અપીલ છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતાં ટૂંક સમયમાં જ પોતાનો રિપોર્ટ કરાવી લે. નોંધનીય છે કે છેલ્લા થોડાંક દિવસોમાં ભાજપ કાર્યાલય કમલમના સચિવ પરેશ પટેલ સહિત સાત પદાધિકારી તેમજ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલા ભાજપના લગભગ એક ડઝન નેતા કોરોના સંક્રમિત થઈ ગયા છે.