04 August, 2026 10:33 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કુલ ૧૮૪ શંકાસ્પદ કેસો નોંધાયા છે અને કુલ બાવીસ બાળદરદીઓનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી ૩૫ ચાંદીપુરા કેસ પૉઝિટિવ આવ્યા છે, જ્યારે ૧૧ સૅમ્પલના ટેસ્ટના રિપોર્ટ હજી આવવાના બાકી છે. અત્યાર સુધીમાં નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી બાવીસ બાળકોના ચાંદીપુરા વાઇરસથી મૃત્યુ થયાં છે. હાલ રાજ્યની વિવિધ સિવિલ હૉસ્પિટલોમાં ૭ પૉઝિટિવ દરદીઓ સારવાર હેઠળ છે, જ્યારે ૬ પૉઝિટિવ દરદીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ ગાંધીનગર, હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હૉસ્પિટલોમાં દાખલ તમામ બાળકોને સુપર સ્પેશ્યલિસ્ટ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. દરદીઓની સ્થિતિ પર તબીબો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.’