15 October, 2019 10:53 AM IST | ગુજરાત
૧૬ ઑક્ટોબરથી વનરાજોનું વેકેશન ખૂલશે. એ દિવસે સવારે ૬ વાગ્યાથી વિધિવત્ વનવિભાગ દ્વારા લીલી ઝંડી દેખાડી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. બીજી બાજુ થોડાક દિવસ પછી દિવાળીનું વેકેશન પણ આવી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર દેખાઈ રહ્યા છે.
ગીર અભયારણ્યમાં સિંહદર્શન માટે અત્યારથી મોટી સંખ્યામાં લોકોએ ઍડ્વાન્સ પરમિટ બુકિંગ પણ કરાવવાનું શરૂઆત કરી દીધું છે. બીજી બાજુ આ વખતે મેઘરાજા ગુજરાત પર સારાએવા મહેરબાન થયા છે ત્યારે ગીર પંથકમાં વધુ વરસાદ પડ્યો હોવાથી ગીરની વનરાઈઓ છોળે કળાએ ખીલી ઊઠી છે. સિંહોનું વેકેશન ખૂલતાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહદર્શન કરશે.
અહીં ઉલ્લેખનીય છે કે ૧૬ જૂનથી ૧૫ ઑક્ટોબર સુધી સિંહદર્શન બંધ રાખવામાં આવે છે, કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. એથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ સિંહદર્શન માટે આવતા હોય છે. બીજી બાજુ છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા ૫૨૩ આસપાસ હતી, હવે આશરે ૭૦૦ ઉપર સાવજોની સંખ્યા પહોંચી છે ત્યારે આ ચાર માસનો સિંહો માટેનો સંવનનકાળ ગુજરાત માટે કેટલો મહત્ત્વનો સાબિત થાય છે એ આવનારો સમય દેખાડશે.