23 March, 2020 02:14 PM IST | Gandhinagar | Agencies
ગુજરાતમાં હવે કોરોના વાઇરસ વિદેશથી આવેલી વ્યક્તિના સંપર્કમાં આવનારા સ્થાનિક નાગરિકોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. સુરતમાં આ પ્રકારનો સર્વપ્રથમ પૉઝિટિવ કેસ બહાર આવ્યા બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત હવે બીજા અને ત્રીજા તબક્કાની વચ્ચે હોવાનું શનિવારે સ્વીકાર્યું હતું. આગામી સમયમાં કમ્યુનિટી ટ્રાન્સફર વધશે ત્યારે તેને પહોંચી વળવા ગુજરાત સરકારે કરેલી તૈયારીઓ અપૂરતી થઈ પડે તો નવાઈ નહીં.
રાજ્યમાં અત્યારે વિદેશથી આવેલ વ્યક્તિ કોવિદ- ૧૯ પૉઝિટિવ હોવાનું માલૂમ પડે કે તુરત જ આરોગ્યની ટીમ આવા કોરોના ચેપગ્રસ્તના પરિવારના સભ્યોના સેમ્પલ મેળવીને ટેસ્ટિંગ શરૂ કરી રહ્યું છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં ટેસ્ટિંગ સેમ્પલની સંખ્યા ૧૫-૧૭થી વધીને ૫૦ને પાર કરી ગઈ છે. ગુજરાત સરકાર પાસે પહેલાંથી વસતી અને છેલ્લા ૨૧ દિવસોમાં વિદેશોમાંથી આવેલા ગુજરાતીઓના સાપેક્ષમાં ટેસ્ટિંગ કિટ નથી! હવે જો ત્રીજા તબક્કે કોરોના વાઇરસનું સંક્રમણ જેઓ વિદેશથી આવ્યા નથી તેવા સ્થાનિક નાગરિકોમાં શરૂ થાય તો તેના પરીક્ષણ માટે પૂરતી કિટને લઈને આરોગ્ય વિભાગે ભારત સરકાર ઉપર દબાણ વધાર્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે ભાવનગર અને સુરતમાં મંજૂરી આપ્યા પછી પણ શનિવારે આ બેઉ લૅબોરેટરીમા ટેસ્ટિંગ શરૂ થઈ શક્યું નહોતું.