23 January, 2024 08:56 PM IST | Kheda | Gujarati Mid-day Online Correspondent
સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)
ગુજરાતના ખેડા જિલ્લામાં 3 ઑક્ટોબર 2022ના 4 પોલીસવાળાએ મુસ્લિમ છોકરાઓને થાંભલે બાંધીને માર્યા હતા. સુપ્રીમ કૉર્ટમાં મંગળવારે (23 જાન્યુઆરી)ના કેસની સુનાવણી થઈ. કૉર્ટે પોલીસને પૂછ્યું કે, તમને થાંભલે બાંધી મારવાનો અધિકાર કોણે આપ્યો.
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું- ગુજરાત હાઈકૉર્ટે તમને 14 દિવસની સજા સંભળાવી છે, તમે એનો આનંદ લો. જો કે કૉર્ટે આગામી સુનાવણી સુધી સજા પર સ્ટે મૂકી દીધો છે. હાલ આગામી સુનાવણીની તારીખ જણાવવામાં આવી નથી.
બેન્ચે પહેલા કેસની સુનાવણી કરવાની ના પાડી દીધી હતી. દોષીઓ તરફથી હાજર વકીલે જ્યારે કહ્યું કે તેમના વિરુદ્ધ ક્રિમિનલ કાર્યવાહી પહેલાથી ચાલી રહી છે, તો બેન્ચ સુનાવણી માટે તૈયાર થઈ ગઈ.
શું છે આખી ઘટના
ગુજરાતના ખેડા જિલ્લામાં મુસ્લિમોની ભીડે 3 ઑક્ટોબર 2022માં એક મંદિરમાં ગરબા કરતા લોકો પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ પોલીસવાળા 110 આરોપીઓે ગામમાં લઈને આવ્યા અને એક-એક કરીને વીજળીને થાંભલે બાંધીને ગ્રામીણો સામે દંડાથી ફટકારવા માંડ્યા. આ દરમિયાન ભારત માતાની જય અને વંદે માતરમના નારા લાગતા સાંભળવા મળ્યા.
પોલીસે શું કહ્યું?
પોલીસે જણાવ્યું હતું કે ગામના મંદિર પરિસરમાં ગરબા કરતા લોકો પર લગભગ 150 મુસ્લિમોએ પત્થરમારો કર્યો હતો. હુમલો કરનારામાં મહિલાઓ પણ સામેલ હતી. તેમના વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી હતી. ધોલાઈ દરમિયાન આરોપી પોલીસ સામે કરગરી રહ્યા હતા. પોલીસે તેમને જનતાની માફી માગવા કહ્યું. ત્યાર બાદ આરોપીઓએ ત્યાં હાજર લોકોની હાથ જોડીને માફી માગી.
આરોપીઓએ ગુજરાત હાઈકૉર્ટમાં કરી અરજી
આ કેસમાં આરોપીઓએ ગુજરાત હાઈકૉર્ટમાં અરજી કરી હતી. 19 ઑક્ટોબર 2023ના રોજ હાઈકૉર્ટે પોલીસને દોષી જાહેર કરતાં 14 દિવસની જેલ અને 2 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યાર બાદ દોષીઓએ સજા પર સ્ટે મૂકવા માટે સુપ્રીમ કૉર્ટમાં અરજી કરી.
ગુજરાત હાઈકૉર્ટે શું કહ્યું?
19 ઓક્ટોબર 2023ના રોજ સજા સંભળાવતી વખતે ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે આ ઘટના માનવતા વિરુદ્ધ છે. હાઈકોર્ટે દોષિત પોલીસ કર્મચારીઓની માફી પણ સ્વીકારી ન હતી. કોર્ટે કહ્યું હતું કે પોલીસ કર્મચારીઓએ જે કર્યું તેનાથી કાયદો અને વ્યવસ્થા પર ઊંડી અસર પડી છે.
જસ્ટિસ મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, `આ બધા કેવા અત્યાચાર છે? લોકોને થાંભલા સાથે બાંધવા, જાહેરમાં માર મારવા અને વીડિયો પણ ઉતારવા, અને તમે ઇચ્છો છો કે કોર્ટ આમાં હસ્તક્ષેપ કરે.
કાયદાની અજ્ઞાનતા માન્ય બચાવ નથી - SC
દવેએ કોર્ટમાં જણાવ્યું હતું કે, `જાણીને આદેશનો અનાદર કરવા બદલ પોલીસકર્મીઓ સામે કોઈ ગુનો નથી.` આ માટે દવેએ ડીકે બાસુ કેસમાં 1996માં સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્ણયની દલીલ કરી હતી, જેમાં કોર્ટે શંકાસ્પદની ધરપકડ અને પૂછપરછ કરવા અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. તેમણે કહ્યું કે સવાલ પોલીસકર્મીઓના દોષનો નથી પરંતુ સવાલ હાઈકોર્ટના તિરસ્કારના અધિકારક્ષેત્રનો છે. શું આ કોર્ટના નિર્ણયની જાણી જોઈને અવગણના કરવામાં આવી હતી? આ એક પ્રશ્ન છે જે જવાબને પાત્ર છે. શું પોલીસકર્મીઓને કોર્ટના આ નિર્ણયની જાણ હતી? તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે કાયદાની અવગણના કરવી એ માન્ય બચાવ નથી.