23 November, 2020 01:15 PM IST | Ahmedabad | Agencies
આજથી અમદાવાદમાં દિવસનો કરફ્યુ હટશે, રાત્રે યથાવત્ રહેશે : નીતિન પટેલ
અમદાવાદ શહેર બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ રાત્રિ કરફ્યુ મૂકવાની જાહેરાત થતાં જ લોકોમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ફરી લૉકડાઉન થવાના ભયે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે ત્યારે આ સમયે લૉકડાઉન અંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરી છે, જેને કારણે કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરફ્યુની અમલવારીને પગલે ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત ગઈ રાત્રિથી જ ગોઠવી દેવાયો હતો. જોકે આ કરફ્યુના સમયે પણ કામ વગર બહાર નીકળનારાઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદમાં કરફ્યુ લંબાવવાનો હાલમાં કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો નથી કે એની ચર્ચા પણ કરવામાં આવી નથી. તેમના નિવેદન અનુસાર સોમવારે સવારે છ વાગ્યાના સુમારે કરફ્યુ પૂરો થાય છે. જોકે સરકાર રાત્રિ દરમિયાન અમદાવાદમાં કરફ્યુની અમલવારી કરાવશે એવી પણ તેમણે વાત કરી છે. સોમવારથી દિવસ દરમિયાનનો કરફ્યુ હટી જશે અને રાત્રિ દરમિયાન કરફ્યુ યથાવત્ રહેશે. તેમણે કહ્યું કે સરકાર કોઈ આંકડા છુપાવતી નથી. ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરાયો છે. અમદાવાદમાં સોમવાર સવાર સુધી કરફ્યુ રહેશે. સુરત, રાજકોટ અને વડોદરા જેવાં મહાનગરોમાં રાત્રિ કરફ્યુ નવા આદેશો સુધી યથાવત્ રહેશે.