21 January, 2023 10:50 AM IST | Ahmedabad | Shailesh Nayak
અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીના એક ફ્લૅટમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના જવાનોએ આવીને આગને કાબૂમાં લીધી હતી. તસવીર: જનક પટેલ.
અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઈડન ફ્લૅટના ચોથા માળે ઘરકંકાસના કારણે ઘરમાં આગ લાગતાં મહિલાએ જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે તેમના પતિ ઈજાગ્રસ્ત થતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા હતા. પોલીસે સારવાર લઈ રહેલા પતિની કરેલી પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે ખુદ તેની પત્નીએ જ ઘરમાં આગ લગાડી હતી. જોકે પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. આ ઘટનાના પગલે આ દંપતીનાં બે બાળકો માતાવિહોણા થઈ ગયાં છે.
અમદાવાદમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન ફ્લૅટમાં ચોથે માળે ગઈ કાલે સવારે આગ લાગી હતી. જે ફ્લૅટમાં આગ લાગી ત્યાં અનિલ બઘેલ અને અનીતા બઘેલ તેમનાં બે બાળકો સાથે રહેતાં હતાં. બાળકોને સવારે સ્કૂલે મૂકીને આવ્યાં બાદ એવું કહેવાય છે કે પતિ-પત્ની વચ્ચે બ્રેકફાસ્ટના મુદ્દે ઝઘડો થયો હતો અને ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે એ ઘરમાં આગ લાગી ગઈ હતી. ઘરમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. દરમ્યાન આ ઘરમાં રહેતો અનિલ બઘેલ ઈજાગ્રસ્ત હાલતમાં બહાર નીકળી ગયો હતો, પરંતુ તેમનાં પત્નીનો ગળા અને હાથના ભાગે ચપ્પુના ઘા સાથે મૃતદેહ મળી આવ્યો હતો. પતિને સારવાર માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયો હતો.
આ ઘટનાના પગલે પોલીસે હૉસ્પિટલમાં જઈને અનિલની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે કહ્યું હતું કે ‘ઈજાગ્રસ્ત પતિની કરેલી પ્રાથમિક પૂછપરછમાં પતિ એવું કહી રહ્યો છે કે તેની પત્નીએ જ હુમલો કરી આગ લગાડી દીધી હતી.’