સુરતમાં હત્યા કરી લાશ દીવાલમાં ચણી દેવાઈ, પાંચ વર્ષે ભેદ ઉકેલાયો

06 November, 2020 01:08 PM IST  |  Surat | Agency

સુરતમાં હત્યા કરી લાશ દીવાલમાં ચણી દેવાઈ, પાંચ વર્ષે ભેદ ઉકેલાયો

પ્રતીકાત્મક તસવીર

સુરતમાં ક્રાઇમ સિરિયલની સ્ટોરીને પણ ટક્કર મારે એવી એક ઘટના સામે આવી છે. સુરતનાં પાંડેસરા વિસ્તારમાં ૨૦૧૫માં થયેલી એક યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. પોલીસની આ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અંગત અદાવતમાં યુવકની હત્યા કર્યા બાદ આરોપીએ તેની લાશને દીવાલમાં ચણી દીધી હતી. આ ખુલાસાથી ખુદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ૨૦૧૫માં ૧૯ વર્ષના શિવમ ઉર્ફે કિશનની હત્યા થઈ હતી, જેની હાલમાં એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટની હાજરીમાં તપાસ ચાલી રહી છે, પણ આ હત્યાકાંડમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પાંડેસરા પોલીસે આ હત્યાકાંડમાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જેણે પોલીસને જણાવ્યું કે તેણે શિવમની હત્યા કરીને લાશ દીવાલમાં ચણી દીધી હતી.

આરોપીની કબૂલાત બાદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને બાદમાં લાશને જે જગ્યાએ ચણી દેવામાં આવી હતી એ આશાપુરા વિભાગ-૩માં પોલીસ પહોંચી હતી. અને દીવાલ તોડવાની કામગીરી શરૂ કરી હતી અને દીવાલમાંથી યુવકની લાશને બહાર કાઢી હતી.

કિશનના પરિવારે ચાર વર્ષ પહેલાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસને આજે આ કેસમાં સફળતા મળી હતી. પોલીસ આ મામલે રાજુ બિહારી નામના આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

surat gujarat Crime News