22 December, 2023 10:43 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ : ફરી એક વાર ગુજરાતમાં કોરોનાનો સળવળાટ થયો છે ત્યારે અમદાવાદમાં ગઈ કાલે વધુ છ કેસ કોરોનાના નોંધાયા છે. બીજી તરફ રાજકોટ, વાવોલ અને દેદિયાસણમાં પણ કોરોનાના કેસ બહાર આવ્યા છે. કોરોનાએ ગુજરાતમાં પગપેસારો કરતાં અમદાવાદ સહિત ગુજરાત કોરોના સામે અલર્ટ બન્યું છે. એટલું જ નહીં, અમદાવાદમાં તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં કોવિડ ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ કહ્યું હતું કે ‘અમદાવાદમાં નવરંગપુરા, નારણપુરા અને સરખેજ વૉર્ડમાંથી કેસ આવ્યા છે. આ ૬ કેસ પૈકીના ૩ કેસમાં ઇન્ટરનૅશનલ ટ્રાવેલ હિસ્ટરી છે. યુ.એસ.એ. અને સિંગાપોરથી આવેલા બેથી ત્રણ દરદી પૉઝિટિવ આવ્યા છે, જે પૉઝિટિવ પેશન્ટ આવ્યા છે એ તમામનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. અત્યાર સુધીમાં અમદાવાદમાં ૧૨ ઍક્ટિવ કેસ નોંધાયા છે.’
અમદાવાદમાં બે દિવસમાં કોરોનાના કેસની સંખ્યા વધી જતાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના સત્તાધીશો પણ હરકતમાં આવી ગયા છે અને કોવિડના મુદ્દે બેઠક મળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીએ મીડિયાને કહ્યું હતું કે ‘અમદાવાદમાં આવેલી વી.એસ. હૉસ્પિટલ, શારદાબહેન હૉસ્પિટલ, એલ.જી. હૉસ્પિટલ સહિતની મ્યુ. હૉસ્પિટલોમાં કોવિડ ટેસ્ટ થાય છે. હવે શહેરનાં તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ કોવિડ ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે અને બે-ત્રણ દિવસમાં શહેરનાં હેલ્થ સેન્ટરોમાં પણ કોવિડ ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ જશે.’
અમદાવાદ ઉપરાંત ગાંધીનગર પાસે આવેલા વાવોલ ગામે એક બાળક, મહેસાણા પાસેના દેદિયાસણ ગામે બે કેસ તેમ જ રાજકોટમાં એક મહિલા કોરોના પૉઝિટિવ થઈ હોવાની વિગતો બહાર આવી છે. અમદાવાદ સહિત ગુજરાત કોરોના સામે અલર્ટ બન્યું છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલ, સુરત નવી સિવિલ હૉસ્પિટલ ઉપરાંત વડોદરા, રાજકોટ, હિંમતનગર, દાહોદની હૉસ્પિટલો કોરોના સામે સજ્જ થઈ છે.