10 April, 2020 09:37 PM IST | Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent
સુમિતિ સિંઘ કોરોનામાંથી સાજી થયેલી દર્દી છે.
અમદાવાદમાં કોરોનાનો ભરડો વઘુ સખત બની રહ્યો છે ત્યારે આપણે સાંભળીએ આ ખાસ ઇન્ટરવ્યુ એ પેશન્ટનો જે કોરોનામાંથી સાજી થઇ છે. RJ હર્ષિલે સુમિતિ સિંઘ સાથે એક્સક્લુઝિવ વાત કરી. અમદાવાદની સુમિતિ કોરોનાથી સંક્રમિત હતી અને પછી તે સાજી થઇને ઘરે પહોંચી હતી. તેણે કહ્યું કે, “દરેકે જે સૌથી અગત્યની કાળજી લેવાની છે તે છે કે દરેક વ્યક્તિ ઘરે જ રહે.” વીડિયો કૉલ પર લીધેલા આ ઇન્ટરવ્યુમાં તેણે સ્પષ્ટતાથી કહ્યું કે, “તમને સંક્રમણનાં લક્ષણો દેખાય તો તમારે ગભારવાની જરૂર નથી પણ સારામાં સારી હૉસ્પિટલમાં જઇને ચેક-અપ કરાવો. તમારે તમારા ડૉક્ટર્સ પર પુરો વિશ્વાસ રાખવાની જરૂર છે કારણકે તમારા ડૉક્ટર્સને ખબર છે તેમને જાણ છે કે તમારી સારવાર કઇ રીતે કરવાની છે.”
અમદાવાદમાં 9મી એપ્રિલે કોરોનાનાં 50 કેસ નોંધાયા હતા અને શહેરનાં અમુક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા હતા. શહેરમાં પરિસ્થિતિ કપરી બની રહી છે ત્યારે સુમિતિની વાત સાંભળીને ચોક્કસ રાહત મળે કારણકે તેનું સાજા થવું અને રેડિયો સિટી સાથે આ સંવાદ સાધવું કાળા વાદળમાં રૂપેરી કોરનું કામ કરનારું સાબિત થાય છે.
શુક્રવાર 10 એપ્રિલની ની અપડેટ અનુસાર અમદાવાદમાં કોરોના વાઇરસનાં નવા 46 પૉઝિટીવ કેસિઝ નોંધાયા અને આરોગ્ય સચિવનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી આ સેમ્પલિંગનું પ્રમાણ વધવાથી સામે આવેલો આંકડો છે. શહેરનાં એક ડૉક્ટરનો કેસ પણ પૉઝિટીવ આવ્યો છે.