04 August, 2026 11:49 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
વડોદરામાં વિજેતા ઉમેદવારનું વિજયી સરઘસ નીકળ્યું હતું
વડોદરામાં ગુજરાત વિધાનસભાની માંજલપુર વિધાનસભા મતવિસ્તારની યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જતના પાર્ટી (BJP)ના ઉમેદવાર સતેન્દ્ર પટેલ ઉર્ફે સતીશ પટેલનો વિજય થયો છે. BJPએ આ બેઠક વધુ એક વખત જાળવી રાખી છે.
માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીની ગઈ કાલે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. એમાં BJPના ઉમેદવાર સતેન્દ્ર પટેલને ૫૫,૪૮૧ મત મળ્યા હતા, જ્યારે કૉન્ગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને ૨૪,૮૫૧ મત મળ્યા હતા. આ મતગણતરી દરમ્યાન નન ઑફ ધ અબોવ (NOTA)માં ૨૨૪૭ મત પડ્યા હતા, જ્યારે ૧૨ મત રદ થયા હતા. ઉલ્લેખનીય છે કે BJPના વિધાનસભ્ય સ્વ. યોગેશ પટેલના નિધનને કારણે માંજલપુર બેઠક ખાલી પડી હતી અને એ માટે ચૂંટણી યોજાઈ હતી. જીત બાદ વિજેતા ઉમેદવારનું વિજયી સરઘસ યોજાયું હતું.
વિધાનસભાની પેટાચૂંટણીમાં BJPનો વિજય થતાં BJP ગુજરાતના પ્રદેશ-પ્રવક્તા ડૉ. અનિલ પટેલે માંજલપુરની જનતાનો આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે ‘તમામ કાર્યકર્તાઓના પરિશ્રમનું આ પરિણામ છે. માંજલપુરની બેઠક પર સ્વ. યોગેશ પટેલની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને ઉમેદવાર સતીશ પટેલની જાહેર જીવનમાં કામગીરીની સુવાસને કારણે તેમનો ૩૦,૫૦૦ કરતાં વધુ મતની લીડથી વિજય થયો છે.’