02 August, 2020 11:32 AM IST | Bhavnagar | Agencies
મોરારિબાપુ
રામજન્મભૂમિ અયોધ્યામાં ૫ ઑગસ્ટના રોજ રામમંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તલગાજરડામાં ચાલી રહેલી ઑનલાઈન કથામાં મોરારિબાપુએ મંદિરના નિર્માણમાં ૫ કરોડ રૂપિયા મોકલીશું તેવી જાહેરાત કરી હતી, જે બાદ આજે ૧૬ કરોડની રકમ એકઠી થઈ ગઈ છે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે સૌથી પહેલાં ૫ કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે. આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે ત્યારે આજે ૫ કરોડના બદલે ૧૬ કરોડની રકમ એકઠી થઈ ગઈ છે.
મોરારિબાપુએ જણાવ્યું હતું કે ચિત્રકૂટધામ તલગાજરડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં રૂપિયા અર્પણ કરું છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઈ આવે તે બધા રૂપિયા મેળવીને આ પૈસા મોકલવામાં આવશે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે ગઈ કાલે સાંજ સુધીમાં માત્ર ભારતમાંથી ૧૦ કરોડ રૂપિયા આસપાસની રકમ એકત્ર થઈ ગઈ હતી, જ્યારે ૩ કરોડ ૫૧ લાખ રૂપિયા અમેરિકાથી અને કેનેડામાંથી, ૨ કરોડ ૮૦ લાખ રૂપિયા યુકે અને યુરોપથી આવ્યા છે. આમ કુલ અત્યાર સુધીમાં ૧૬ કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ ગઈ છે.