28 September, 2020 08:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં કોરોનાનો કહેર વધતો જ જાય છે.કોવિડ-19 કેસોમાં સતત વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 27 વિસ્તારોમાં 10 વાગ્યા પછી દુકાનો અને બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શહેરમાં દવાની દુકાનો ખુલ્લી રાખી શકાશે. ઉપરોક્ત નિર્ણયનો અમલ તાત્કાલિક કરવાનો રહેશે.
આ નિર્ણય મુજબ અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં રાત્ર 10.00 વાગ્યા પછી કોઈ પણ દુકાન ખુલ્લી નહીં રહે, જેમાં દવાની દુકાનો અપવાદ છે.
શહેરમાં કોરોનાના કેસોની વધુ સ્થિતિ વણસે એ પહેલાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડો. રાજીવ ગુપ્તાએ આ નિર્ણય લાગુ કર્યો હતો. આજે બહાર પાડેલા એક આદેશમાં ડૉ.ગુપ્તાએ આ વિસ્તારોના નામ પણ આપી દીધા છે.
AMCએ કહ્યું હતું કે છેલ્લા બે સપ્તાહથી શહેરમાં યુવા વર્ગ દ્વારા કોરોના સામે સાવચેતી રૂપે માસ્ક નહીં પહેરવું, ટોળે વળવું અને સામાજિક અંતરનું પાલન જેવા નિયમોનો ભંગ થતો હતો. જેથી આ કિસ્સાઓને અટકાવવા માટે તમામ દુકાનો અને બજારો રાત્રે 10 વાગ્યા પછી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. યુવાનો દ્વારા ટોળામાં બેસી અને કોરોનાની ગાઈડલાઈન્સના ભંગને અટકાવવા તેમ જ તેમના પરિવારમાં બાળકો અને વૃદ્ધોને કોરોના સંક્રમણથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.