આખો પરિવાર નિદ્રાધીન હતો ત્યારે રાત્રે સાડાત્રણ વાગ્યે ઘરમાં આગ લાગી, પિતા-પુત્રનાં મોત

25 February, 2026 08:24 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદની કમકમાટી ભરી ઘટનાઃ મા, દીકરી અને સાસુ બચી ગયાં

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરી રૉ હાઉસમાં એક મકાનમાં સોમવારે મોડી રાતે આગ લાગી હતી. આગમાં પિતા-પુત્રનાં મોત થયાં હતાં જ્યારે માતા-પુત્રી અને મરનારની માતા બહાર નીકળી જતાં બચી જવા પામ્યાં હતાં.  

ગોહિલ પરિવારના સભ્યો ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે મોડી રાતે સાડાત્રણ વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં ૩૮ વર્ષના ધ્રુવ ગોહિલ અને તેમનો ૯ વર્ષનો પુત્ર શાશ્વત આગમાં ફસાઈ ગયા હતા; જ્યારે તેમનાં પત્ની, પુત્રી અને માતા બહાર નીકળી જતાં બચી ગયાં હતાં. આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ ઓલવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ધ્રુવ ગોહિલ અને તેમના પુત્ર શાશ્વતને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. ઍર-કન્ડિશનરમાં શૉર્ટ-સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. 

fire incident ahmedabad gujarat gujarat news