18 May, 2020 12:08 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
વિજય નેહરા (તસવીર સૌજન્ય ટ્વિટર)
દેશમાં કોરોનાના કહેરને કારણે લૉકડાઉન જાહેર હોવા છતાં કોરોના દરદીઓની સંખ્યામાં સતત વધારે જોવા મળ્યો છે. ત્યારે દેશમાં સૌથી વધારે કેસ ધરાવતા રાજ્યમાં પહેલા ક્રમાંકે મહારાષ્ટ્ર અને તેના પછી બીજા સ્થાને ગુજરાત છે. તેથી જ અમદાવાદના મ્યૂનિસિપલ કમિશનર વિજય નેહરાએ અમદાવાદમાં કોરોના પૉઝિટીવ દરદીઓને શોધવા આક્રમક ટેસ્ટિંગનો નિર્ણય લીધો હતો જે તેમને ભારે પડ્યો છે. કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થવા છતાં આક્રમક ટેસ્ટિંગ કરવું જ જોઇએ તેવો મત ધરાવતાં વિજય નેહરાએ ટેસ્ટિંગ સંખ્યા રોજ પાંચ હજાર પર પહોંચવાને કારણે તેમને ક્વૉરંટિન કરવાને બહાને રજા પર ઉતારવામાં આવ્યા અને હવે તેમનો હવાલો આઇએએસ અધિકારી મુકેશ કુમારને આપવામાં આવ્યો. જોકે, લૉકડાઉન 4.0ની શરૂઆતમાં જ ગુજરાત સરકારે નેહરાની બદલી ગ્રામ વિકાસ કમિશનર ગાંધીનગર તરીકે કરી મુકેશ કુમારને જ અમદાવાદના મ્યૂનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગુડબુકમાં રહેલા વિજય નેહરાથી મ્યૂનિસિપલ કોર્પોરેશનના ચૂંટાંઇ આવેલા સભ્યો પેહલાથી જ નારાજ હતાં તેમાં કોરોનાના આક્રમક ટેસ્ટિંગને કારણે રોજના કોરોના પૉઝિટીવ કેસમાં વધારો થતો જોવા મળ્યો. જેને કારણે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને સંભળાવી હોવાથી વિજય નેહરાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની વાત ફેલાવી તેમને ક્વૉરંટીન કરવા માટે રજા પર ઉતારવામાં આવ્યા. બીજી તરફ મુકેશ કુમારને મ્યૂનિસિપલ કમિશનરનો હોદો સોંપવામાં આવ્યો. દરમિયાન વિજય નેહરાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો જેમાં તે નેગેટિવ આવ્યા અને તે ફરી ફરજ પર હાજર થઈ શકે છે તેવી જાણ રાજ્ય સરકારને કરી. પરંતું રાજ્ય સરકારે વિજય નેહરાને તેમનો હોદ્દો પાછો સોંપવાને બદલે ગ્રામ વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે તેમની બદલી કરવાનો આદેશ આપી દીધો. આમ આખા ગુજરાતમાં કોરોનાને કારણે કોઇ આઇએએસ અધિકારીની બદલી થઈ તેવો આ પહેલો કિસ્સો છે.