12 January, 2020 09:56 AM IST | Mumbai Desk
પ્રતીકાત્મક તસવીર
દાણીલીમડા વિસ્તારમાં પત્ની તેમ જ સાસરિયાંના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેનાર યુવકના કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવકે આપઘાત પહેલાં વિડિયો રેકૉર્ડિંગ તેમ જ સુસાઇડ નોટ લખી હતી.
દાણીલીમડાના મકવાણા પરિવારના પુત્ર સંદીપે તેની સાથે કામ કરતી રશ્મિ સાથે ૨૦૧૯માં પ્રેમલગ્ન કર્યાં હતાં. સંદીપ અને રશ્મિ બન્ને સાબરમતી પાસે રહેતા હતા. એક દિવસ અચાનક યુવતીના પરિવારજનો તેને આવીને લઈ ગયા હતા અને ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં સમાધાન કરી છુટાછેડા કરાવી નાખ્યા હતા. બાદમાં ૧૫ ઑગસ્ટથી સંદીપ ક્યાંક જતો રહ્યો હતો. ત્યાર બાદ રશ્મિએ ઇડરમાં પણ એક ફરિયાદ નોંધાવી હતી. બાદમાં બન્ને સાથે રહેતાં હતાં એવામાં રશ્મિ ૧ નવેમ્બરે ક્યાંક જતી રહી હતી જેથી સંદીપે તેના પરિવારને કહ્યું કે રોનક ઉર્ફે રશ્મિના પરિવારજનો ખોટા કેસ કરવાની ધમકીઓ આપી પૈસાની માગણીઓ કરે છે. ફરિયાદ અનુસાર તેની પત્નીએ યુવક વિરુદ્ધ બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી જેનાથી યુવક માનસિક રીતે ભાગી પડ્યો હતો અને ૧૮ નવેમ્બરે આપઘાત કરી લીધો હતો. દાણીલીમડા પોલીસે મૃતકની પત્ની, સાળી અને સાસુ-સસરા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.