દિવાળીમાં સોમનાથ મંદિરને 96 લાખની આવક

05 November, 2019 08:58 AM IST  |  Veraval

દિવાળીમાં સોમનાથ મંદિરને 96 લાખની આવક

સોમનાથ મંદિર

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં દિવાળીના તેમ જ નૂતન વર્ષની રજાઓમાં યાત્રિકોએ સોમનાથ આવી અને ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા અને સોમનાથમાં યાત્રિકોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું, જેથી સોમનાથ ટ્રસ્ટની આવકમાં પણ ધરખમ વધારો થયો હતો અને સોમનાથ મંદિર ટ્રસ્ટને તહેવારોના માત્ર છ દિવસમાં જ કુલ ૯૩ લાખ રૂપિયા અને ૨૦ હજારની આવક થઈ હતી. તેમ જ ૬ દિવસ દરમિયાન ૩ લાખથી વધુ ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

તા. ૨૭ ઑક્ટોબરથી ૧ નવેમ્બર સુધીમાં થયેલી આવક અંગે સોમનાથ ઇન્ચાર્જ જનરલ મૅનેજર અજય દુબેએ આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ત્રણ લાખથી વધુ યાત્રિકોએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં અને રવિવારની રજા સુધી પણ સતત યાત્રિકોનો પ્રવાહ ધમધમતો હતો. એથી આ વર્ષે સોમનાથમાં ગોલખ બૉક્સની ૧૩.૯૧ લાખ, પૂજાવિધિ-ડોનેશન ૧૪.૨૭ લાખ, પ્રસાદ લાડુ ચિકી ૩૨.૧૧ લાખ, લાઇટ ઍન્ડ સાઉન્ડની બે લાખ તો સાહિત્યની ૩.૨૯ લાખ, ગેસ્ટહાઉસોની ૨૩.૨ હજાર તો પાર્કિંગની ૪.૫૭ લાખની આવક થઈ હતી. આમ સોમનાથ ટ્રસ્ટની કુલ આવક ૯૩.૨૦ લાખની થઈ છે.

આ પણ વાંચો : સુરતમાં ઘરનું એક જ મહિનાનું પાણીનું બિલ 14,482 રૂપિયા

ટ્રસ્ટ અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને ટ્રસ્ટી સચિવ પ્રવીણ લહેરીના પ્રયાસોથી યાત્રિકો માટે રહેલી સુવિધાઓ અને વિકાસને કારણે વેકેશન અને રજાઓમાં શ્રદ્ધાળુઓ, ભાવિકો અને પર્યટકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે ૭થી ૧૧ નવેમ્બર સુધીમાં પાંચ દિવસમાં ૭૬ લાખ રૂપિયાની આવક થઈ હતી, જેની ઍવરેજ જળવાઈ રહી ઉપરાંત વરસાદ, વાવાઝોડાની સંભવિતતા અને વાવેતરને હવામાનની અસર અને મંદી હોવાની માન્યતા વચ્ચે પણ લોકો દર્શન કરી ધન્ય બન્યા અને સોમનાથ યાત્રાનું સૌને આકર્ષણ રહ્યું હતું.

veraval gujarat