13 January, 2020 02:38 PM IST | Ahmedabad
હું કડવા પાટીદાર છું એટલે કડવો લાગું છું એથી બચી જાઉં છું.
અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે લવ-કુશ પાટીદાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું. સંમેલનમાં કડવા-લેઉવા અને રાજકીય ભેદભાવ ભૂલીને તમામ પાટીદાર નેતાઓ એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. મહાસંમેલનમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, નરહરિ અમીન, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અન્ય નેતાઓ પહોંચ્યા હતા.
લવ-કુશ સંમેલનને સંબોધતાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે હળવી ટકોર કરતાં કહ્યું હતું કે સમાજ ક્યારેય અલગ નહોતો, પણ ખબર ન પડી ક્યારે અલગ થઈ ગયો. કદાચ રાજકારણ કે અન્ય કારણે આ કડવા-લેઉવાના ભેદભાવ થયા હશે. સત્ય કહીએ તો હંમેશાં કડવું લાગે છે અને હું તો કડવા પટેલ છું એટલે બચી જાઉં છું. નીતિનભાઈ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે ત્યારે તેમણે સાંકેતિક રીતે કહ્યું હતું કે હું જે સમાજમાંથી આવું છું એ જાણતા હોવાના કારણે મારા કડવાં વેણને પક્ષના નેતાઓ પણ માફ કરે છે. તેમણે કહ્યું હતું કે હું કડવા પાટીદાર છું એટલે કડવો લાગું છું અને એટલે જ બચી પણ જાઉં છું.