દેશમાં 1 વ્યક્તિ માટે મતદાન મથક બનતું હતું તે બાણેજ ગીરના મહંતનું નિધન

02 November, 2019 03:28 PM IST  |  મુંબઈ ડેસ્ક

દેશમાં 1 વ્યક્તિ માટે મતદાન મથક બનતું હતું તે બાણેજ ગીરના મહંતનું નિધન

ગીર : (જી.એન.એસ.) ગુજરાતમાં જ્યારે પણ કોઈ ચૂંટણી આવે ત્યારે એક વ્યક્તિ જરૂર ચર્ચામાં આવતી હોય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગીરના જંગલમાં આવેલા બાણેશ્વર મંદિરના મહંતની. તેઓ આ વિસ્તારના એકમાત્ર મતદાતા હતા. તેમના માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરતું હતું. આ બૂથ પર દર વખતે ૧૦૦ ટકા મતદાન થતું હતું. આ મહંત ચૂંટણીમાં મતદાન કરવા માટે પણ લોકોને પ્રેરિત કરતા હતા. 

બાણેજ ગીરના મહંત ભરતદાસજી બાપુનું નિધન થયું છે. તેમની ઉંમર ૬૮ વર્ષની હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. ભરતદાસજી બાપુને કિડનીની બીમારી હતી અને તેઓ છેલ્લા એક મહિનાથી રાજકોટમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ પોતાના એક મત માટે દેશભરમાં જાણીતા બન્યા હતા. આવતી કાલે ભરતદાસજી બાપુના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત અનુસાર ભરતદાસજી બાપુએ આજે બપોરે ૩ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે પણ રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે તેઓ ચર્ચામાં આવતા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના મન કી બાત કાર્યક્રમમાં ભરતદાસ બાપુના નામનો ઉલ્લેખ કર્યો હતો. ભરતદાસ બાપુ કહેતા હતા કે મતદાન કરવું આપણી નૈતિક ફરજ છે. તેઓ મતદાનને લઈને હંમેશાં લોકોને પ્રેરણા આપતા હતા.

gujarat