પાક વીમાના કૉલ-સેન્ટરોના ટોલ-ફ્રી નંબરો પર ફોન ન લાગતાં રાજકારણ ગરમાયું

02 November, 2019 03:19 PM IST  |  મુંબઈ ડેસ્ક

પાક વીમાના કૉલ-સેન્ટરોના ટોલ-ફ્રી નંબરો પર ફોન ન લાગતાં રાજકારણ ગરમાયું

ગાંધીનગર : (જી.એન.એસ.) રાજ્યમાં પાક વીમાના મુદ્દે ખેડૂતોનો વીમા કંપનીઓના ટોલ-ફ્રી નંબરો પર સંપર્ક ન થઈ શકતો હોવાની રાવ ઊઠી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયા બાદ રાજ્ય સરકારે વીમા કંપનીઓના ટોલ- ફ્રી નંબર જાહેર કર્યા હતા. જોકે ઘણા જિલ્લાઓમાંથી ખેડૂતોની ફરિયાદ આવી રહી છે કે ટોલ-ફ્રી નંબર પરથી સંપર્ક થઈ રહ્યો નથી. આ મામલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મુખ્ય સચિવને ફરિયાદોનું તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી છે. આ સૂચનાને પગલે ચીફ સેક્રેટરીએ તાત્કાલિક નિકાલ કરવા અધિકારીઓને તાકીદ કરી અને તમામ નંબરો કાર્યરત રહે એ મુદ્દે અધિકારીઓને સૂચના આપી છે. ટોલ-ફ્રી નંબર મુદ્દે કોઈ પણ ફરિયાદો આવે તો મુખ્ય સચિવ જાતે એના પર સીધી નજર રાખશે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કૉન્ગ્રેસમાંથી બીજેપીમાં આવીને જોડાયેલા નેતાઓ તેજશ્રીબહેન પટેલ અને ધવલસિંહ ઝાલાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખીને ખેડૂતોને વળતર ચૂકવવા માગણી કરી છે. બાયડ વિસ્તારના ખેડૂતોને વળતર ચૂકવવા ધવલસિંહે માગણી કરી છે તો તેજશ્રીબહેન પટેલે કૃષિપ્રધાન આર. સી. ફળદુને પત્ર લખીને વિરમગામ માંડલ અને દેત્રોજના ખેડૂતોને વળતર ચૂકવવા માગણી કરી છે.
દરમિયાન ગુજરાત કૉન્ગ્રેસના નેતા પાલ આંબલિયાએ એક વિડિયો જાહેર કરી સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકારે જાણી જોઈને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે. આંબલિયાએ વિડિયોમાં જણાવ્યું છે કે સરકારે ટોલ-ફ્રી નંબરનો સંપર્ક ન થાય તો શું કરવું એની માહિતી જાણી જોઈને ન આપી. આંબલિયાએ અપીલ કરી છે કે ખેડૂતો તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરી પાક વીમા મુદ્દે રજૂઆત કરી શકે છે.

gujarat