મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને ધામધૂમથી ઊજવવા અંબાજીમાં તૈયારીઓ શરૂ

02 January, 2020 10:03 AM IST  |  Ambaji

મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને ધામધૂમથી ઊજવવા અંબાજીમાં તૈયારીઓ શરૂ

અંબાજી મંદિર

આગામી ૧૦ જાન્યુઆરીના પોષ સુદ પૂર્ણિમાએ મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. યાત્રાધામ અંબાજીમાં અંબાનું મૂળ સ્થાન હોવાથી અંબાજી માતાજીના પાટોત્સવને ખૂબ જ ધૂમધામથી માનવામાં આવે છે, જેને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આથી અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પોષ સુદ પૂર્ણિમાએ માતાજીના પ્રાગટ્ય મહોત્સવને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જેના ભાગરૂપે અંબાજી મંદિરમાં ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પદાધિકારીઓ સાથે આયોજનના ભાગરૂપે બેઠક યોજી હતી.

આયોજન વિશે અંબાજી મંદિરના વહીવટદાર અને નાયબ કલેક્ટર એસ. જે. ચાવડાએ જણાવ્યું કે આ પાટોત્સવમાં હાથી, ઘોડા તેમ જ વિવિધ ટૅબ્લો સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. તેમ જ મા અંબાને ૨૦૦૦ કિલો ઉપરાંત સુખડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે. માતાજીના પાટોત્સવને લઈ મંદિર ટ્રસ્ટ ભોજનાલયમાં એક દિવસ માટે યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં મહાશક્તિ યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મા જોગમાયા જગદંબાના પ્રાગટ્યદિને અંબાજીમાં ગ્રામજનો સહિત લાખો-કરોડો માનવભક્તો આરાધ્યદેવીના મહોત્સવમાં ભક્તિમય રીતે જોડાય છે. પૂનમના પવિત્ર દિવસે મા અંબાના જ્યોતિસ્થાન ગબ્બરથી પ્રારંભ થઈ અંબાજી મંદિર મુખ્યદ્વાર શક્તિદ્વારે મહાઆરતી બાદ સમગ્ર અંબાજી નગર માર્ગો પર મા અંબા ભક્તજનોને દર્શન આપવા હાથી પર આરૂઢ થઈ નગરયાત્રાએ નીકળે છે.

આ પણ વાંચો : 2020માં રાજ્યમાં 34,000 સરકારી જગ્યાઓમાં ભરતી કરાશે : રૂપાણી

ભાદરવી પૂનમ જેવા આ મહામેળામાં ગામેગામથી આવતા સંઘો, અનુપમ કલાત્મક રથ, ધજાઓ અને પદયાત્રી ભાવિક ભક્તો જેનાં દર્શન માટે દોટ મૂકીને આવે છે એવી મા અંબાનાં દર્શન કાજે લાખોની ભાવિક ભીડ ઊમટી પડે છે. યાત્રા દરમ્યાન હજારો કિલો સુખડીનો પ્રસાદ ભક્તોને અપાય છે. આ પૂનમને એટલે જ તો સુખડી પૂનમ કહેવાય છે.

gujarat