સતત ઊભા રહીને ખડેશ્વરી બાપુએ કરી આકરી હઠયોગની તપશ્ચર્યા

30 December, 2018 11:24 AM IST  |  | શૈલેષ નાયક

સતત ઊભા રહીને ખડેશ્વરી બાપુએ કરી આકરી હઠયોગની તપશ્ચર્યા

ઊભા રહીને તપશ્ચર્યા કરી રહેલા અને શુક્રવારે આસન ગ્રહણ કરનાર ખડેશ્વરી બાપુ.

૧૨ વર્ષ પહેલાં ગુરુદેવનો આદેશ થયા બાદ ૧૨ વર્ષ ૯ મહિના ૨૧ દિવસ સતત ઊભા રહીને તપશ્ચર્યા કરનાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવરુ ગામના ખડેશ્વરી બાપુએ ગઈ કાલે અંતરાત્માના અવાજથી હઠયોગની તપશ્ચર્યા પૂરી કરી અસંખ્ય ભાવિકોની ઉપસ્થિતિમાં આસન ગ્રહણ કર્યું હતું. ખડેશ્વરી બાપુએ આસન ગ્રહણ કર્યું ત્યારે ઉપસ્થિત ભાવિકોએ બાપુ પર ફૂલોની વર્ષા કરીને તેમને વધાવી લીધા હતા.

૧૨ વર્ષ પહેલાં ખડેશ્વરી બાપુએ ૧૧ મહિના ઊભા રહીને તપ કરવાનો હઠયોગ કર્યો હતો, પરંતુ તેમના ગુરુ ગૌતમગિરિજી મહારાજે ૧૨ વર્ષ તપ કરવાનો આદેશ કરતાં બાપુએ ગુરુની આજ્ઞાનું પાલન કરીને આકરી તપશ્ચર્યા કરી હતી.

શુક્રવારે તપસ્યા પૂરી કરનાર ખડેશ્વરી બાપુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે દુનિયાને ખુશી આપવી હતી એ માટે ૧૧ મહિના સુધી ઊભા રહીને તપશ્ચર્યા કરવાનો હતો, પરંતુ ગુરુજી ગૌતમગિરિજી મહારાજે કહ્યું કે ૧૨ વર્ષ સુધી તપ કરો એટલે ગુરુની આજ્ઞા માથે ચડાવીને તપ કર્યું. ૧૨ વર્ષના તપ દરમ્યાનની એક-એક ઘડી મને યાદ છે. ૧૨ વર્ષ પૂરાં થતાં ભાવિકો કહેતા હતા કે બાપુ ગુરુજીનો આદેશ પૂરો થયો છે હવે બેસી જાઓ, પણ હું બેઠો નહોતો. જોકે અંદરથી અંતરનો અવાજ આવતાં અને યોગ બનતાં મેં ૧૨ વર્ષ ૯ મહિના ૨૧ દિવસ સતત ઊભા રહીને તપ કર્યા બાદ આસન ગ્રહણ કર્યું છે.’

બાપુએ આર્શીવચન આપતાં કહ્યું હતું કે ‘જગતનું કલ્યાણ થાય, ગૌમાતા અને નારીની રક્ષા થાય, જગત હરિયાળું બને. સર્વે સુખી રહો, ધર્મની રક્ષા કરો અને સેવા કરો.’

ખડેશ્વરી બાપુએ આસન ગ્રહણ કરવાનો નિર્ણય કરતાં બાવરુ ગામે આવેલા તેમના આશ્રમ ખાતે તપશ્ચર્યાની પૂર્ણાહુતિનો મહોત્સવ ઊજવાયો હતો. ભાગવત સપ્તાહ, વિષ્ણુ મહાયજ્ઞ અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો : કાંકરિયા કાર્નિવલમાં ફ્લોટિંગ રેસ્ટોરાં બની આકર્ષણનું કેન્દ્ર

ઉલ્લેખનીય બાબત એ હતી કે ખડેશ્વરી બાપુ સતત ઊભા રહીને તપ કરી રહ્યા હતા એ દરમ્યાન તેમને સારણગાંઠ થઈ છે. સાડાત્રણ કિલોના વજનવાળી આ સારણગાંઠ જોઈને ઘણા ભાવિકો બાપુને આસન ગ્રહણ કરવાનું કહેતા હતા, પરંતુ બાપુ તેમના તપમાં અડગ રહ્યા હતા.

gujarat