13 December, 2019 10:39 AM IST | Navsari
નવસારીનું મંદિર
નવસારી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલા પૂર્ણેશ્વર નજીકની ગૌશાળા પાસે આવેલા મશાની હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા પૂજારીએ ગાંજાના છોડ ઉગાડ્યા છે, જે બાતમીના આધારે પોલીસે મંદિરના કમ્પાઉન્ડમાં છાપો માર્યો હતો. જ્યાંથી નશાના ઉપયોગમાં લેવાય એવા છોડ મળી આવ્યા હતા. પોલીસે એફએસએલની મદદથી તપાસ કરતાં કમ્પાઉન્ડમાં ઊગેલા છોડવાઓ ગાંજાના હોવાનું ખૂલ્યું હતું જેથી પોલીસે ઘટનાસ્થળેથી ૫૮ હજાર ૧૪૦ રૂપિયાના ગાંજાના કુલ ૯ કિલો ૬૯૦ ગ્રામ વજન ધરાવતા ૩૭ છોડવાઓ કબજે કર્યા હતા. સાથે મંદિરમાં રહેતા પૂજારી શિવકુમાર ગોપીપ્રસાદ કશ્યપની ગાંજાના ગેરકાયદેસર રીતે છોડવાઓ ઉગાડવા મુદ્દે ધરપકડ કરી છે. આ બાબતે જલાલપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.