19 November, 2019 10:46 AM IST | Gandhinagar
ફાઈલ ફોટો
રાજ્યની તમામ સ્કૂલની ૫૦ મીટરની ત્રિજ્યામાં ફાસ્ટ ફૂડ નહીં વેચી શકાશે નહીં. કેન્દ્ર સરકારની ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા આ અંગે નવા નિયમ લાવવા જઈ રહ્યું છે, જેમાં સ્કૂલની ૫૦ મીટરની ત્રિજ્યા ઉપરાંત સ્કૂલની કૅન્ટીનમાં ફાસ્ટ ફૂડ વેચવું ગુનો બનશે.
વર્તમાન સમયમાં નાનાં બાળકોથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓને ફાસ્ટ ફૂડ ખાવાનો ચસકો હોય છે. પરંતુ હવે કેન્દ્ર સરકારની ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા નવા નિયમ લાવવા જઈ રહી છે જેમાં દેશ અને રાજ્યની તમામ સ્કૂલની આસપાસના ૫૦ મીટરની ત્રિજ્યામાં ફાસ્ટ ફૂડનું વેચાણ ગુનો બનશે. એટલે કે હવે સ્કૂલની ૫૦ મીટરની ત્રિજ્યામાં કોઈ પણ ફાસ્ટ ફૂડ વેચી નહીં શકાય. ઉલ્લેખનીય છે કે નિયમ લાગુ થયા બાદ સ્કૂલની કૅન્ટીનમાં પણ ફાસ્ટ ફૂડ રાખી નહીં શકાય.
આ અંગે ગુજરાત રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં ફાસ્ટ ફૂડ અંગે નિયમો જાહેર કરવામાં આવશે. જેમાં સ્કૂલની ૫૦ મીટરની ત્રિજ્યામાં કોઈ પણ વ્યક્તિ ફાસ્ટ ફૂડનું વેચાણ કરી શકશે નહીં. હેલ્થ ઍન્ડ ઇન્ડિયા અંતર્ગત દેશનાં તમામ બાળકોને ફાસ્ટ ફૂડથી દૂર રાખી તેમનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા પણ આ નિયમો લાગુ કરવામાં આવશે. એથી ગુજરાતની તમામ સ્કૂલની ૫૦ મીટરની ત્રિજ્યામાં કોઈ પણ ફાસ્ટ ફૂડની લારી અથવા તો દુકાન શરૂ કરવાની પરવાનગી પણ આપવામાં નહીં આવે.
આ પણ વાંચો : કચ્છમાં એક દિવસમાં ધરતીકંપના પાંચ આંચકા
જન્ક ફૂડના કારણે બાળકોને નુકસાન થાય છે. જ્યારે હાલની પરિસ્થિતિમાં દેશમાં ડાયબિટીઝનું પ્રમાણ વધ્યું છે ત્યારે ફાસ્ટ ફૂડમાં વધારે પડતી શુગર, સૉલ્ટ અને ફૅટ હોવાથી બાળકોને આ ખોરાકથી વિવિધ રોગ થાય એવાં તારણો બહાર આવ્યાં છે; જેથી સ્વસ્થ ભારતના નિર્માણ માટે આ આયોજન કરવામાં આવ્યું છે.