ડિપ્થેરિયાથી ચાર બાળકોનાં મોત નીપજતાં આરોગ્ય તંત્રમાં હાહાકાર

16 October, 2019 12:38 PM IST  |  પાલનપુર

ડિપ્થેરિયાથી ચાર બાળકોનાં મોત નીપજતાં આરોગ્ય તંત્રમાં હાહાકાર

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ડિપ્થેરિયાને કારણે આરોગ્ય વિભાગની ઊંઘ ઊડી છે. આરોગ્યની ટીમે તપાસ કરતાં અત્યાર સુધી ડિપ્થેરિયાના ૧૪ શંકાસ્પદ કેસ બહાર આવ્યા છે, જેમાંથી ૪ બાળકોનાં મોત નીપજ્યાં હોવાનું પણ આરોગ્ય વિભાગે સ્વીકાર્યું છે. તેમ જ બે બાળકોને હૉસ્પિટલમાં સારવાર અર્થે રાખ્યાં છે, જ્યારે ૮ બાળકોને સારવાર આપ્યા પછી હાલ ઘરે સહીસલામત છે, પરંતુ આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો જિલ્લામાં મોટા પ્રમાણમાં કેસ બહાર આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

છેલ્લા ૩ દિવસથી આરોગ્યની તાલુકાની તેમ જ જિલ્લાની ટીમ પણ આ તપાસમાં લાગી છે. ત્યારે તપાસ કરતાં બીજા ડિપ્થેરિયાના ૭ કેસ મળ્યા છે અને વધુ ૩ બાળકોનાં મોત થયાના સમાચાર આવતાં ગાંધીનગરની ટીમ પણ ધાનેરા ખાતે રવિવારે આવી પહોંચી હતી અને આરોગ્યના અધિકારી તેમ જ કર્મચારીઓ સાથે બેઠક કરી હતી.
ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પી. એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ધાનેરાના સરાલ-વીડ ગામે ડિપ્થેરિયાના કારણે એક બાળકનું મોત થવા પામ્યું છે. એ બાબતને લઈને તપાસ કરતાં અન્ય ૧૪ શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા, જેમાંથી ૪ બાળકોનાં મોત થયાં છે. એથી આ બાબતે તપાસ ચાલુ છે તેમ જ આરોગ્યની ટીમો દ્વારા રસીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અને રવિવારે પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. તેમ જ ગાંધીનગરથી પણ મદદનીશ આરડીડી તેમ જ તેમની ટીમ ધાનેરા ખાતે આવેલી છે.’

gujarat