14 September, 2019 08:40 AM IST | ગાંધીનગર
વિજય રૂપાણી
ગાંધીનગર : (જી.એન.એસ.) ગુજરાતના સરદાર સરોવર ડૅમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ડૅમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલાં સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે જો જળસ્તર વધારવામાં આવ્યો તો મધ્ય પ્રદેશમાં ૧૭૮ ગામો જળસમાધિ લઈ શકે છે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ મામલે મધ્ય પ્રદેશની સરકારને જવાબ આપતાં કહ્યું કે સરદાર સરોવર ડૅમ ભરવો અમારો અધિકાર છે.
મીડિયા સાથેની વાતચીતમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે નર્મદા ડૅમની ૧૩૮.૬૦ હાઇએસ્ટ કૅપેસિટી છે. હાલ સપાટી ૧૩૭ પર પહોંચી છે. બીજી તરફ ખુદ મધ્ય પ્રદેશ આટલું પાણી છોડી રહ્યું છે. અમે એને નહીં રોકીએ તો આગળ ભરૂચનાં ગામોમાં અસર થશે અને અનેક વિસ્તારો પાણીમાં ડૂબી જશે. એક તરફ નર્મદામાં મધ્ય પ્રદેશ આટલું પાણી છોડી રહ્યું છે, ૧૦ લાખ ક્યુસેક છોડી રહ્યા છે તેમ છતાં સપાટી વધી રહી છે. આ પાણીને નહીં રોકીએ તો નીચાણવાળાં ગામોમાં નુકસાન થશે.
નર્મદા મુદ્દે સીએમએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે નર્મદા બંધ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જ મંજૂરી આપવામાં આવી છે એ જાણીને મને ખૂબ હેરાનગતિ થાય છે. નર્મદા મામલે હંમેશાં કૉન્ગ્રેસ રોડા નાખવાનું કામ કરે છે.
આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ
તેમણે કહ્યું કે ડૅમ ભરવો અમારો અધિકાર છે. ડૅમ પૂરો થયો છે. તેમ જ વિસ્થાપન માટે ગુજરાતે જે રાશિ મધ્ય પ્રદેશને આપવાની હતી એ ૫૦૦ કરોડથી વધુ રૂપિયા અમે તેમને આપ્યા છે. સુપ્રીમ કોર્ટે વિસ્થાપનના જે રૂપિયા નક્કી કર્યા છે એ પૂરા રૂપિયા આપ્યા છે. પરંતુ લોકોને ફરીથી સ્થાપિત કરવાનું કામ મધ્ય પ્રદેશનું છે. તેમણે બે વર્ષ પહેલાં આ કામ કરવાનું હતું જે અત્યાર સુધી કર્યું નથી અને હવે કોર્ટમાં જઈ રહ્યા છે.