15 June, 2019 07:59 PM IST | ગાંધીનગર
જુલાઈ 5ના દિવસે ગુજરાતમાં યોજાશે રાજ્યસભાની ચૂંટણી
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો પર જુલાઈ પાંચના દિવસે ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી બાદ આ બે બેઠકો ખાલી પડી છે. આ બેઠકો પરથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાના સભ્યો હતા. જેમણે ગાંધીનગર અને અમેઠીથી લોકસભા ચૂંટણી જીતી છે. લોકસભા ચૂંટણી તેઓ જીતી જતા રાજ્યસભાની બેઠક તેમણે છોડવી પડી છે અને ફરી એક વાર તેના માટે ચૂંટણી થઈ રહી છે.
અમિત શાહ ગાંધીનગરથી જીત્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. અહીંથી અત્યાર સુધી એલ. કે. અડવાણી લડતા હતા. અમિત શાહની ગાંધીનગરથી વિક્રમી મતોથી જીત થઈ હતી અને હવે તેઓ દેશના ગૃહ મંત્રી છે. લોકસભા જીત્યા બાદ તેમણે રાજ્યસભાની બેઠક છોડી છે.
સ્મૃતિ ઈરાની અમેઠીથી જીત્યા
લોકસભા ચૂંટણીની જો કોઈ સૌથી મોટી જીત હોય તો તે હતી રાહુલ ગાંધીની સામે અમેઠીથી સ્મૃતિ ઈરાનીની જીત. કોંગ્રેસનો કિલ્લો સ્મૃતિની સામે ધ્વસ્ત થયો અને સ્મૃતિએ જીત મેળવી. હાલ તેઓ મોદી સરાકરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે. તેમણે પણ ગુજરાતની રાજ્યસભા બેઠક છોડી છે.
આ પણ વાંચોઃ ફરી થશે ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી
રસપ્રદ રહી શકે ચૂંટણી
રાજ્યસભાની ચૂંટણી ગયા વખતે રસપ્રદ રહી હતી. ગયા વખતે રાજ્યભાની 3 બેઠકો માટે જંગ થયો હતો. જેમાંથી એક કોંગ્રેસ અને બે ભાજપના ફાળે ગઈ હતી. ભાજપે ત્રણેય સીટ મેળવવા માટે અને કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. ચૂંટણી છેક સુધી રસાકસીભરી રહી હતી. જેને જોતા આ ચૂંટણી પણ રસપ્રદ બની શકે છે.