08 June, 2022 08:20 PM IST | Mumbai | Dr. Mukul Choksi
ફાઈલ તસવીર
મારી ઉંમર ૫૩ વર્ષ છે. એક વરસ પહેલાં જ મારાં બીજાં લગ્ન થયાં છે. બીજી પત્ની મારાથી પાંચેક વર્ષ નાની છે અને મારા કરતાં વધુ ઍક્ટિવ છે. બીજાં લગ્ન પહેલાંનાં ત્રણ વરસ મેં માત્ર હસ્તમૈથુન જ કરેલું. હવે વાઇફને અચાનક જ સમાગમનું મન થાય છે. મને પણ મન તો થાય છે, પણ દર વખતે ઇન્દ્રિયમાં જોઈએ એટલું ઉત્થાન નથી થતું. પૂરતી ઉત્તેજના ન હોવાથી મારી પત્નીને સંતોષ નથી મળતો. વાયેગ્રાની એક ગોળી લઉં તો વાંધો નથી આવતો, પણ મારી સમસ્યા એ છે કે વાઇફને મન થયું હોય અને મેં ગોળી ન લીધેલી હોય તો ઓછું કડકપણું હોવાને કારણે સમાગમ સંતોષદાયક નથી રહેતો. જેમ મહિલાઓ ફૅમિલી-પ્લાનિંગ માટે રોજ ગોળી લે એમ ઓછા ડોઝમાં રોજ વાયેગ્રા લઈ શકાય? આ ગોળી અઠવાડિયામાં વધુમાં વધુ કેટલી વખત લેવાય? પત્નીને પૂરતો સંતોષ આપવા માટે શું કરવું?
મુલુંડ
એક વાત સમજવી જરૂરી છે કે જેમ કોઈ દવાની ગોળીની સારી અસર થાય છે એમ એની ખરાબ અસર પણ હોવાની જ. માટે કોઈ પણ દવા આંખ મીંચીને વધુ માત્રામાં ન વાપરવી. ફૅમિલી-પ્લાનિંગ માટેની ગોળીઓને વાયેગ્રા સાથે સરખાવી શકાય એમ નથી.
વાયેગ્રા એ શિષ્નોત્થાનની સમસ્યામાં અસરકારક છે, પણ એની અસર રહે ત્યાં સુધી જ. એ કોઈ ટૉનિક કે હૉર્મોનની પિલ નથી એટલે સમાગમ ન કરવો હોય તો એ દવા લેવાનો કોઈ ફાયદો નથી. એ છતાં, સમાગમના એક કલાક પહેલાં ભૂખ્યા પેટે જ આ ગોળી લેવી જોઈએ. ધારો કે ગોળી ન લેવાઈ હોય તો પત્નીને સંતોષ નથી આપી શકાતો એની ગિલ્ટ રાખવાને બદલે સમાગમ પહેલાં જ મુખમૈથુન કે હસ્તમૈથુનથી તેને સંતુષ્ટ કરી લો. ફોરપ્લે પર પણ ભાર મુકો. શરૂઆત કરતાં પહેલાં જ ઉત્તેજનામાં વૃદ્ધિ થશે.
શરીરમાં લોહીનું ભ્રમણ બરાબર રહે એ માટે રોજ પોણો કલાક કસરત કરવાનું રાખો. કૉલેસ્ટરોલ, બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝની સમસ્યાઓ હોય તો એની યોગ્ય સારવાર પણ કરવો. ઘણી વખત એવું બનતું હોય છે કે આ બધા પ્રૉબ્લેમને લીધે પણ શિષ્નોત્થાન યોગ્ય રીતે થતું નથી.