30 March, 2021 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
GMD Logo
હું ૨૯ વર્ષની યુવતી છું. મારાં લગ્ન હજી નથી થયાં. મારા ઘરના લોકો મને પ્રેશર કરે છે કે હું સમાધાન કરીને પરણી જાઉં, કારણ કે મારી ઉંમર વધતી જાય છે. હકીકત એ છે કે લગ્ન મને ત્યારે જ કરવાં છે જ્યારે યોગ્ય જીવનસાથી મળે. કોઈને પણ પરણી જવા કરતાં તો ન પરણીએ એ ઑપ્શન બેસ્ટ લાગે છે મને. પણ આ બધામાં બાયોલૉજિકલ ક્લૉક વિશે પણ વિચારવું રહ્યું. મને સંતાનની ચાહ છે. જો હું મોડી પરણી અને પછી બાળકમાં કઈ તકલીફ પડી તો? પણ બાળકની ચાહમાં ગમે તેને તો પરણી શકું એમ નથી હું. મેં છાપામાં એગ ફ્રીઝિંગ વિશે વાચેલું. આ ઑપ્શન કેટલો સેફ છે?
માતૃત્વ એક એવી અવસ્થા છે જેના માટે શારીરિક જ નહીં, માનસિક રીતે પણ રેડી હોવું ખૂબ જ જરૂરી છે. ક્યારેક એવું બનતું હોય છે કે જ્યારે તમે માનસિક રીતે રેડી થાવ ત્યાં સુધીમાં તમારી શારીરિક સજ્જતા જતી રહે છે. આવા સમયે એગ ફ્રીઝિંગ જેવી તક્નિક કામ લાગી શકે છે. એગ ફ્રીઝિંગ એ આજના સમયમાં ઘણા પ્રશ્નોનું નિરાકરણ સાબિત થઈ રહ્યું છે. કરિયર માટે, ભણતર માટે કે પછી યોગ્ય પાત્ર ન મળે એ માટે જ્યારે સ્ત્રીઓ બાળકનું પ્લાનિંગ મોડું કરે છે ત્યારે ફર્ટિલિટી સંબંધિત પ્રશ્નો આવી શકે છે. યુવાન વયે સ્ત્રીનાં એગ એકદમ ફર્ટાઇલ હોય છે. જો તમે એગ ફ્રીઝ કરાવો છો તો તમે મોટી ઉંમરે જ્યારે બાળક પ્લાન કરો ત્યારે એ ફ્રીઝ્ડ એગનો ઉપયોગ કરીને સ્વસ્થ બાળક મેળવી શકો છો. એટલું જ નહીં, ફર્ટિલિટી સંબંધિત તકલીફો નહીં થાય. આ એકદમ સેફ ટેક્નિક છે માટે એમાં ગભરાવવા જેવું નથી.
ઘણા લોકોને લાગે છે કે આ બધી નવી ટેક્નૉલૉજી ખોટા ટ્રેન્ડ ઊભા કરે છે, પરંતુ એવું નથી. એગ ફ્રીઝિંગ ઘણા બધા કેસમાં વરદાન સાબિત થાય છે. આજકાલ નાની ઉંમરે સ્ત્રીઓને કૅન્સર થવા લાગ્યું છે ત્યારે આ સ્ત્રીઓ ભવિષ્યમાં માતૃત્વના સુખથી વંચિત ન રહે એ માટે એગ ફ્રીઝિંગ વરદાન બને છે. આ ઉપરાંત અમુક સ્ત્રીઓને એવું પણ થાય છે કે ૩૦ વર્ષ જેવી નાની ઉંમરે તેમને મેનોપૉઝ આવી જાય છે. તેમના માટે પણ એગ ફ્રીઝિંગ ખૂબ સારી ટેક્નિક ગણાય છે.