15 September, 2021 06:13 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
૨૪ વર્ષનું મારું સુખી લગ્નજીવન છે, પણ તકલીફ હવે પડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મને સંભોગ કર્યા પછી ખૂબ થાક લાગે છે. ઘણી વાર રાતના સમયે પથારીમાં પડતી વખતે જ એટલો થાકેલો હોઉં છું કે ઇચ્છા નથી થતી. જો સેક્સ ટાળું તો નાઇટફૉલ પણ થઈ જાય છે. એક વૈદ્યે મને સફેદ મૂસળી અને ગાયનું દૂધ લેવાનું કહેલું પણ એનાથી ખાસ ફરક ન પડ્યો. ઘટતી કામેચ્છા માટે મને બીજા એક આયુર્વેદાચાર્યે મધ અને તલ ચાટવાથી સેક્સ પાવર વધે એવી સલાહ આપી. એકાદ મહિનો આ મિશ્રણ લીધું, પણ કોઈ ફાયદો નહોતો થયો. ઉંમર વધવાને કારણે હવે હું નપુંસકતા તરફ તો આગળ નથી વધી રહ્યોને? સેક્સ નહીં થઈ શકતું હોવાથી હવે આખો દિવસ મારા મનમાં સેક્સના જ વિચારો ચાલે છે. કોઈ રસ્તો દેખાડશો.
કાંદિવલીના રહેવાસી
તમારા વર્ણન પરથી તમે બધી જ રીતે ફિટ હો એવું મને લાગે છે. માત્ર થાક અને નબળાઈનો પ્રશ્ન છે જેને તમે જાતીય સમસ્યા માનીને જાતજાતના અખતરા કરવા લાગ્યા છો. ઊંઘમાં સ્ખલન થઈ જવું એ સૂચવે છે કે હૉર્મોન્સ સંપૂર્ણ સ્વસ્થ છે. નાઇટફૉલ એક સ્વસ્થ શારીરિક ક્રિયા છે. સામાન્ય સંજોગોમાં સંભોગ કર્યા પછી થોડાક સમય માટે સ્નાયુઓનો દુખાવો અનુભવાય છે. આ નબળાઈ સહેલાઈથી દૂર થઈ શકે છે, પણ તમે જે ઉંમર કહી છે એ જોતાં મને લાગે છે કે તમારા ફૅમિલી ડૉક્ટરને મળવું જોઈએ અને બૉડી ચેકઅપ કરાવવું જોઈએ.
આ ઉંમરે કૉલેસ્ટરોલ, બ્લડપ્રેશર, ડાયાબિટિઝ જેવી બીમારી આંગણે આવતી હોય છે માટે જરૂરી છે કે તમે એક વાર ફૅમિલી ડૉક્ટરને મળીને ચેકઅપ કરાવો, જેથી જો કોઈ પ્રૉબ્લેમ હોય તો વહેલું નિદાન થાય.
આ ઉપરાંત સંભોગ પછી ગરમ પાણીથી નાહવાથી મસલ્સ રિલૅક્સ થશે. તમારે તમારી સ્ટૅમિના વધારવાની જરૂર છે. એ માટે એક્સરસાઇઝ અને સાથે શુદ્ધ ખોરાક લેવાનું ચાલુ કરશો તો ચોક્કસ ફાયદો થશે. આયુર્વેદિક ઉપચારો કરવામાં કશું ખોટું નથી, પણ ફૅમિલી ડૉક્ટરને મળીને યોગ્ય નિદાન સાથે આગળ વધવું બહેતર છે.