બાળકનું પાચન સ્ટ્રૉન્ગ બનાવવા માટે શું કરવું?

11 June, 2021 02:16 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

આજનો સમય એવો છે કે તમે તેને બહારના ખોરાકથી કે પ્રોસેસ્ડ ફૂડથી કે ઊતરતી કક્ષાના ભેળસેળિયા ફૂડથી બચાવી શકશો નહીં

પ્રતીકાત્મક તસવીર

મારી દીકરી ૮ વર્ષની છે. તે નાની હતી ત્યારથી મારે તેનું ધ્યાન ઘણું રાખવું પડે છે. જો તે ભૂલથી બે-ત્રણ દિવસ ઉપરાઉપરી મીઠાઈઓ, ચૉકલેટ કે તીખું-તળેલું ખાઈ લે તો તેનું પેટ ખરાબ થઈ જાય છે. રોડ-સાઇડ ફૂડ તો હું તેને બિલકુલ ખવડાવી શકું નહીં. તે ખાય એટલે તરત જ માંદી પડી જાય. અમે પણ તેની સાથે જ એ વસ્તુ ખાઈએ છીએ, પણ અમને કંઈ થતું નથી. શરૂઆતનાં પાંચ વર્ષ તો મેં તેને ઘરનો જ ખોરાક આપ્યો છે, પરંતુ તે બહારનું ખાય જ નહીં એવું શક્ય નથી. મોટી થશે એમ તેને બહાર ખાવાની વધુ જરૂર પડશે. ત્યારે શું?

આજકાલ ઘણા પેરન્ટ્સની આ તકલીફ છે. ખોરાક બાબતે જાગૃતિ આવી છે એટલે પેરન્ટ્સ બહારનો ખોરાક બાળકોને આપવાનું સ્વીકારતા નથી અને એક ઉંમર સુધી એ ખૂબ સારો અને સાચો નિર્ણય સાબિત થાય છે. જોકે આજનો સમય એવો છે કે તમે તેને બહારના ખોરાકથી કે પ્રોસેસ્ડ ફૂડથી કે ઊતરતી કક્ષાના ભેળસેળિયા ફૂડથી બચાવી શકશો નહીં. ક્યારેક તો એ સમય આવશે જ કે બાળકના પેટમાં એ ફૂડ જશે. હવે તેને આ બધું ખાવાની આદત નથી એટલે તેનું પેટ રીઍક્ટ કરશે જ. તેના ગટની લાઇનિંગ પર અસર થશે. તે ચાઇનીઝ ખાશે તો તેને ઍલર્જિક રીઍક્શન આવી શકે છે. તે રોડસાઇડ પાણીપૂરી ખાશે તો તેને ડાયેરિયા થઈ શકે છે. એ ચાટ ખાશે તો ઇન્ફેક્શન થઈ શકે છે. તે વધુ આઇસક્રીમ ખાશે તો તેને શરદી થઈ શકે છે. તે આર્ટિફિશ્યલ કલરવાળો ખોરાક લેશે તો તેને ઍલર્જી થઈ શકે છે. આ બધું જાણવા છતાં સેફ રહીને પણ તમારે તમારા બાળકને બહારનું ભોજન ખાતાં શીખવવું પડશે.

જીજાબાઈ શિવાજીને નાનપણથી થોડું ઝેર ચટાડતાં હતાં. જેથી ભવિષ્યમાં જો કોઈ વ્યક્તિ શિવાજીને ઝેર આપે તો એ ઝેર તેમને અસર જ ન કરી શકે. આજના સમયમાં બહારનો આ ખોરાક એ ઝેર છે જે પેરન્ટ્સે તેમનાં બાળકોને થોડું-થોડું આપતા રહેવું પડશે, કારણ કે બાળક ભવિષ્યમાં બહાર ભણવા જશે તો તેણે સર્વાઇવ કરવા માટે પણ બહારનું ખાવું તો પડશે જ. મોકળાશ અને શિસ્ત વચ્ચે એક પાતળી ભેદરેખા છે. મહિને બે વાર બાળકને બહાર લઈ જઈ ખવડાવીને જ તેને સ્ટ્રૉન્ગ બનાવી શકાય. બાકી એ માટે કોઈ દવા નથી હોતી.

columnists