24 March, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અત્યાર સુધી આપણે જાણતા હતા કે વધુપડતી ખાંડ કે સૉફ્ટ ડ્રિન્ક્સ પીવાથી સ્થૂળતા અને ડાયાબિટીઝ થાય છે પરંતુ તાજેતરનું સંશોધન એક વધુ ચોંકાવનારી વિગત બહાર લાવ્યું છે. જે લોકો દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં સોડા કે ગળ્યાં પીણાં પીએ છે તેમને ફેફસાંનો ગંભીર રોગ ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ (COPD) થવાનું જોખમ ૩૯ ટકા સુધી વધી જાય છે.
વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હજારો લોકોના ડેટાનો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે જે લોકો તેમની દૈનિક કૅલરીના ૧૦ ટકાથી વધુ હિસ્સો ખાંડવાળાં પીણાંમાંથી મેળવે છે તેમનાં ફેફસાંની કાર્યક્ષમતા ધીમે-ધીમે ઘટવા લાગે છે. સોડામાં રહેલાં હાઈ-ફ્રક્ટોઝ કૉર્ન સિરપ અને અન્ય કૃત્રિમ ગળપણ શરીરમાં ઇન્ફ્લમેશન એટલે કે સોજો પેદા કરે છે. આ સોજો લોહી દ્વારા ફેફસાંની સૂક્ષ્મ નળીઓ સુધી પહોંચે છે અને ત્યાં નુકસાન પહોંચાડે છે.
COPD એક એવી સ્થિતિ છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ફેફસાં કાયમી ધોરણે નુકસાન પામે છે. સામાન્ય રીતે ધૂમ્રપાનને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે, પરંતુ આ સંશોધન સૂચવે છે કે આપણી ખાવા-પીવાની આદતો પણ એટલી જ જવાબદાર છે. સોડામાં રહેલાં કેમિકલ્સ અને વધુપડતી ખાંડ માત્ર શરીરની મેટાબોલિક સિસ્ટમને જ નહીં પરંતુ શ્વસનતંત્રને પણ નબળું પાડે છે. ખાસ કરીને જે લોકો ધૂમ્રપાન કરે છે અને સાથે સોડા પણ પીએ છે તેમના માટે જોખમ અનેકગણું વધી જાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે ફેફસાંના સ્વાસ્થ્ય માટે ડાયટ સોડા કે ફ્રૂટ જૂસને બદલે સાદું પાણી, નારિયેળ પાણી અથવા લીંબુ શરબત જેવા કુદરતી વિકલ્પો પસંદ કરવા જોઈએ. ખાંડનો વપરાશ ઘટાડવો એ માત્ર વજન ઉતારવા માટે જ નહીં, પણ લાંબા આયુષ્ય અને સ્વસ્થ ફેફસાં માટે અનિવાર્ય છે.