06 March, 2026 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફાસ્ટ લાઇફસ્ટાઇલને લીધે થતા સ્ટ્રેસની અસર સીધી ત્વચા પર દેખાય છે. અત્યાર સુધી આપણે માનતા હતાં કે સ્કિનકૅર પ્રોડક્ટ્સ માત્ર ડાઘ દૂર કરવા કે ગ્લો લાવવા માટે જ હોય છે, પણ માર્કેટમાં હવે ન્યુરોકૉસ્મેટિક્સનો કન્સેપ્ટ ટ્રેન્ડ કરી રહ્યો છે જે તમારી ત્વચાની સાથે તમારા મૂડને પણ સુધારે છે. ન્યુરોકૉસ્મેટિક્સ એટલે એવી પ્રોડક્ટ્સ જે સ્કિન બ્રેઇન કનેક્શન પર કામ કરે છે. આપણી ત્વચામાં સેંકડો ચેતાતંતુઓ હોય છે. જ્યારે આપણે કોઈ ખાસ પ્રકારની ક્રીમ કે લોશન લગાવીએ ત્યારે એમાં રહેલાં તત્ત્વો આ ચેતાતંતુઓ દ્વારા મગજને સંકેત મોકલે છે જે સ્ટ્રેસ માટે જવાબદાર કૉર્ટિઝોલ હૉર્મોન્સને ઘટાડવામાં અને હૅપી હૉર્મોન્સ વધારવામાં મદદ કરે છે. જે રીતે આપણે શરીરને સ્વસ્થ રાખવા ડાયટ લઈએ છીએ એવી જ રીતે મનને શાંત રાખવા માટે સ્કિનકૅર એક થેરપી બની રહી છે. જો તમારી સ્કિન હેલ્ધી હશે તો તમે સારું ફીલ કરશો.
સવારે અને રાત્રે સૂતાં પહેલાં ચહેરો ધોઈને સિરમ લગાવીને મસાજ કરવો એ એક પ્રકારનું સેલ્ફ-કૅર મેડિટેશન છે. આ ૧૦ મિનિટનો સમય તમને ટેન્શનથી દૂર રાખશે. ઘણી પ્રોડક્ટ્સમાં લવૅન્ડર, કેમોમાઇલ કે ચંદન જેવાં તત્ત્વો હોય છે. એની સુગંધ મગજનાં ઇમોશન્સને કન્ટ્રોલ કરે છે જેનાથી તરત જ માનસિક શાંતિ મળે છે. સ્ટ્રેસ હોય ત્યારે ત્વચા ઑઇલી થાય છે અને ઍક્ને પણ થાય છે. ન્યુરોકૉસ્મેટિક્સ પ્રોડક્ટ્સ ત્વચાના સ્તર પર જઈને નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને સારી ફીલિંગ આપે છે.