ઍસિડિટીની ગંભીર અસર દાંત પર પણ થાય છે

31 July, 2025 06:59 AM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

ઍસિડિટીને કારણે વ્યક્તિ અસ્વસ્થ થઈ જાય, ખાટા ઓડકાર આવે, પેટમાં કે છાતીમાં બળતરા થાય વગેરે પ્રૉબ્લેમ્સ નડી શકે એટલું જ નહીં, એને કારણે દાંત પર પણ અસર થાય છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજકાલ ઍસિડિટી દરેક વ્યક્તિને થતો નૉર્મલ પ્રૉબ્લેમ બની ગયો છે. આપણી લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, બહારનું ખાવા-પીવાનું વગેરેને કારણે આપણું પાચનતંત્ર બગડે છે અને વ્યક્તિને ગૅસ અને ઍસિડિટીના પ્રૉબ્લેમ થાય છે. આ ઍસિડિટીને કારણે વ્યક્તિ અસ્વસ્થ થઈ જાય, ખાટા ઓડકાર આવે, પેટમાં કે છાતીમાં બળતરા થાય વગેરે પ્રૉબ્લેમ્સ નડી શકે એટલું જ નહીં, એને કારણે દાંત પર પણ અસર થાય છે.

ઍસિડ રિફ્લક્સને સાદી ભાષામાં સમજીએ તો ઍસિડિટીને કારણે વ્યક્તિને જે ખાટા ઓડકાર આવે છે એને ઍસિડ રિફ્લક્સ કહેવાય છે. એટલે કે ઍસિડનું મોઢામાં આવવું. જોકે આ એક કારણ નથી કે ઍસિડ મોઢામાં આવી જાય. બહારથી આપણે જે ઍસિડિક ખોરાક ખાઈએ છીએ જેમ કે કોલા ડ્રિન્ક્સ કે ઠંડાં પીણાં વગેરે... એ પણ મોઢામાં ઍસિડ ફેલાવે છે. કોઈ પણ પ્રકારનું ઍસિડ બહારથી ખોરાકના રૂપે કે પેટમાંથી ખાટા ઓડકારના રૂપે મોઢામાં આવે ત્યારે એ દાંતને અસર કરે છે. આમ તો કુદરતી રીતે આપણા બધાના દાંત પ્રોટેક્ટિવ લેયર જેને આપણે ઇનૅમલ કહીએ છીએ એનાથી સુરક્ષિત થયેલા હોય છે પરંતુ આ ઇનૅમલની થિકનેસ બધા લોકોમાં અલગ-અલગ હોય છે અને એને માપી શકાતી નથી. જ્યારે ઍસિડ અટૅક થાય ત્યારે સીધી દાંતના આ સુરક્ષિત આવરણ ઇનૅમલને અસર કરે છે. ઍસિડ અટૅકથી ઇનૅમલ ઘસાય છે, જેને આપણે દાંત ઘસાઈ ગયા એમ કહીએ છીએ. જ્યારે સફેદ ઇનૅમલ ઘસાઈ જાય છે ત્યારે દાંતનું અંદરનું લેયર- ડેન્ટીન ખુલ્લું થઈ જાય છે અને એને કારણે અચાનક જ દાંત પીળા, મેલા કે ભૂખરા રંગના દેખાવા માંડે છે. આમ દાંત એનો ઓરિજિનલ કલર ગુમાવી શકે છે અને સેન્સિટિવ બની જાય છે, જેને કારણે વ્યક્તિ કંઈ પણ ઠંડું કે ગરમ ખાય ત્યારે ઝણઝણાટી આવી શકે છે. જો દાંત પર ઍસિડ-અટૅક ચાલુ જ રહ્યો તો લાંબા ગાળે એવું પણ થાય કે દાંત ખવાતા જાય.

કોલા ડ્રિન્ક્સ, પૅક્ડ જૂસ, અથાણાં કે કોઈ પણ પ્રિઝર્વેટિવ્ઝવાળી વસ્તુઓમાં ઍસિડ હોય છે. આવા ઍસિડિક ખાદ્ય પદાર્થોથી દૂર રહો. જો સાવ ખાવાનું બંધ ન કરી શકો તો મોઢામાં રાખીને વધુ સમય ચાવવાને કે ચગળવાને બદલે જલદીથી ગળે ઉતારી જવા જોઈએ જેથી દાંત સાથે એનો સંપર્ક ઓછો થાય. જો ઍસિડિક ખાદ્ય પદાર્થ કે પીણાં ખાઓ-પીઓ તો તરત જ કોગળા કરી લેવા જેથી ઍસિડની અસરને થોડી ઘટાડી શકાય. જો તમને ઍસિડિટીની તકલીફ સતત રહેતી હોય તો એનો ઇલાજ કરાવવો ખૂબ જરૂરી છે સાથે-સાથે ઍસિડિટી ન રહે એ માટે લાઇફસ્ટાઇલમાં જરૂરી બદલાવ લાવવો. એ સિવાય પણ દર ૬ મહિને એક વખત દાંતનું ચેકઅપ કરાવતા રહો.  

health tips life and style columnists gujarati mid day mumbai food news food and drink