31 May, 2026 02:11 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઘણી વખત આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે મને નજર જલદી લાગી જાય છે. નજર જલદી લાગી જવા પાછળ પણ ઘણાં કારણો જવાબદાર છે, પણ આપણે એ કારણને બદલે નજરથી બચવા માટેના રસ્તાઓ વિશે વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્રથી લઈને સામુદ્રિકશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ખરાબ નજરથી બચવાના અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે.
સરળ અને હાથવગા એવા એ ઉપાયોનું નિયમિત પાલન કરવું જોઈએ અને નજરદોષથી બચવાના આ ઘરગથ્થુ પણ શાસ્ત્રોક્ત રીતે અસરકારક રસ્તાઓ અપનાવવા જોઈએ.
હનુમાનજી શ્રેષ્ઠ ઉપાય
જેમને વારંવાર નજર લાગતી હોય તેમણે મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ નિયમિત રીતે કરવા જોઈએ. જો નજર લાગી હોય અને તબિયત પર અસર થઈ હોય તો વ્યક્તિના કપાળે હનુમાનજીના ડાબા પગનું સિંદૂર લગાવવું જોઈએ. આ જે સિંદૂર છે એને નકારાત્મક ઊર્જાનું નાશક માનવામાં આવે છે તો સાથોસાથ એ સુરક્ષાચક્રનું પણ કામ કરે છે. નજર લાગવાની ઘટના હંમેશાં મસ્તક કે આંખોથી થતી હોય છે.
મસ્તક પર લગાવવામાં આવેલું સિંદૂર વ્યક્તિના આજ્ઞાચક્રને સુરક્ષિત રાખે છે.
કાળો દોરો બને રક્ષક
નાનાં બાળકોને વારંવાર નજર લાગતી હોય તો તેના કાંડા પર કે ગળામાં કાળો દોરો બાંધવો જોઈએ. એ દોરો બાંધતાં પહેલાં જો હનુમાનજીને એક વાર સ્પર્શ કરાવવામાં આવે તો અતિ ઉત્તમ, પણ ધારો કે એવું ન થઈ શકે તો ઇષ્ટદેવનું નામ લઈ બાળકને કાળો દોરો પહેરાવવો જોઈએ. આ જે કાળો દોરો છો એ પગમાં પણ પહેરી શકાય છે. જો વ્યક્તિની ટૅલન્ટ પર નજર લાગતી હોય અને તેનાં કામો આગળ વધતાં થંભી ગયાં હોય તો તે વ્યક્તિના ડાબા પગના અંગૂઠામાં કાળો દોરો બાંધવો જોઈએ.
સાવ નાના બાળકના કાન પાછળ કરવામાં આવતું કાળું ટપકું પણ એટલો જ અસરકારક ઉપાય છે. પથારીવશ હોય એવા વડીલો માટે આ ઉપાયનો ઉપયોગ થઈ શકે.
જો નજરદોષની અસર તીવ્ર હોય અને તાત્કાલિક ઉપાય જોઈતો હોય તો કાળા અકીકની માળા ધારણ કરવી જોઈએ. કાળા અકીક નજરદોષ દૂર કરવાની સાથોસાથ નજરદોષથી બચાવવાનું પણ કામ કરે છે.
પ્રવેશદ્વારને આપો રક્ષણ
દુકાન કે ઘર પર નજર ન લાગે એ માટે પ્રવેશદ્વાર પર લીંબુ અને ૭ મરચાં બાંધવાની જે પરંપરા હતી એ વાજબી પરંપરા છે. દર શનિવારે કે મંગળવારે આ પ્રક્રિયા કરવી જોઈએ. આ જે લીંબુ-મરચાં છે એ નકારાત્મક તરંગોને પોતાનામાં સમાવી લે છે. ૭ પ્રકારના નકારાત્મક તરંગ હોય છે જે માટે ૭ મરચાં બાંધવાની પ્રથા છે.
પ્રવેશદ્વાર પર એટલે કે ઘરની બહાર કે પછી ઘરના મુખ્ય દ્વારને સીધી નજર પડે એવી રીતે ઘરમાં પંચમુખી હનુમાનનો ફોટો કે મૂર્તિ રાખવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. ઘરના દ્વાર પર સ્વસ્તિક કે ઓમનું ચિહન પણ લગાવવું જોઈએ. એ ઘરમાં પ્રવેશતી નકારાત્મક દૃષ્ટિને હકારાત્મક બનાવવાનું કામ કરે છે. એક ખાસ સૂચન કરવાનું કે ઇષ્ટદેવની મૂર્તિ કે પછી એનું પ્રતીકાત્મક રૂપ ક્યારેય ઘરની બહાર રાખવાં નહીં. ઇષ્ટદેવનું સ્થાન હંમેશાં મંદિરમાં જ હોય. એવી જ રીતે ઘરની બહાર શક્ય હોય કે પછી કોઈએ સૂચન ન કર્યું હોય તો દેવીમાને પણ રાખવાં જોઈએ નહીં.
આખું મીઠું અને ફટકડી
આખા ઘરને અને ઘરના સભ્યોને નકારાત્મક ઊર્જાથી બચાવવા માટે ડ્રૉઇંગરૂમમાં યોગ્ય જગ્યાએ કાચના બાઉલમાં આખું મીઠું એટલે કે દરિયાઈ મીઠું ભરીને રાખવું જોઈએ. મીઠું આસપાસની નકારાત્મક ઊર્જા અને નજરદોષને શોષી લે છે. રાખવામાં આવેલું આ મીઠું નિયમિત બદલવું ખૂબ જરૂરી છે. વધુમાં વધુ ૭ દિવસમાં આ મીઠું બદલવું અનિવાર્ય છે.
બિઝનેસની જગ્યાએ એટલે કે ઑફિસ કે દુકાનના મુખ્ય દ્વાર પર કાળા કપડામાં ફટકડીનો ટુકડો બાંધીને લટકાવવાથી ગ્રાહક કે નિયમિત ઑફિસમાં આવતા અન્ય લોકોની નજર નથી લાગતી.