ઘરના બનાવેલા નાચોઝ સાથે અવાકાડો ગ્વાકામોલ

16 July, 2025 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોટને ઢાંકી ૧૦-૧૫ મિનિટ સુધી રાખો. લોટમાંથી નાના પિંડા બનાવીને પાતળું રોટલી જેવું વણી લો. રોટલીમાંથી ત્રિકોણ આકારમાં કાપો. હવે પસંદગી મુજબ પકાવો.

ઘરના બનાવેલા નાચોઝ સાથે અવાકાડો ગ્વાકામોલ

ભાગ : ઘરમાં બનાવેલા નાચોઝ

સામગ્રી : ૧ કપ મકાઈનો લોટ, પા કપ મેંદો, ૧ ચમચી તેલ અથવા ઓગાળેલું મખણ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમો અથવા જીરું, જરૂર મુજબ પાણી, તળવા માટે તેલ (અથવા અવનમાં બેક કરવા કે ઍરફ્રાય કરવા માટે)

બનાવવાની રીત : એક મોટા વાસણમાં મકાઈનો લોટ, મેંદો, મીઠું અને પસંદના દાણા ભેળવો. એમાં તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો. પાણીની મદદથી મજબૂત લોટ બાંધો. લોટને ઢાંકી ૧૦-૧૫ મિનિટ સુધી રાખો. લોટમાંથી નાના પિંડા બનાવીને પાતળું રોટલી જેવું વણી લો. રોટલીમાંથી ત્રિકોણ આકારમાં કાપો. હવે પસંદગી મુજબ પકાવો.

તળેલું : ગરમ તેલમાં નાચોઝ ત્રિકોણ તળો જ્યાં સુધી સોનેરી અને ક્રિસ્પી ન થાય. બેક કરેલું : ઓવનને 180oC પર ગરમ કરો. નાચોઝને ગ્રીઝ કરેલી થાળી પર મુકી ૧૦-૧૨ મિનિટ બેક કરો.

ઍરફ્રાય : 180oC પર ૬–૮ મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. થાળીમાં કાઢીને ઠંડા થવા દો જેથી સંપૂર્ણ ક્રિસ્પી બને.

ભાગ : અવાકાડો ગ્વાકામોલ

સામગ્રી : ૨ પાકેલા અવાકાડો, ૧ નાની ડુંગળી – બારીક સમારેલી, ૧ ટમેટાં – સમારેલાં, ૧ લીલાં મરચાં – બારીક સમારેલાં, ૨ ચમચી લીલા ધાણા – સમારેલા, અડધા લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે મરી પાઉડર, ૧ ચપટી ભૂંજેલું જીરું

બનાવવાની રીત : અવાકાડોને કાપીને બી કાઢી એના પલ્પને વાસણમાં કાઢો. ફૉર્કથી મૅશ કરો. થોડું જાડું રાખો જેથી ટેક્સચર રહે. એમાં ડુંગળી, ટમેટાં, મરચાં અને ધાણા ભેળવો. હવે એમાં લીંબુનો રસ, મીઠું, મરી અને જીરું ઉમેરી બરાબર મિક્સ કરો. ૧૦-૧૫ મિનિટ માટે ફ્રિજમાં ઠંડું રાખો જેથી સ્વાદ ઊંચો આવે.

પીરસવાની રીત : એક થાળીમાં ઘરના બનાવેલા નાચોઝ ગોઠવો. એક વાટકીમાં અવાકાડો ગ્વાકામોલ મૂકી વચ્ચે રાખો. ઉપરથી છીણેલું ચીઝ (પ્રોસેસ્ડ કે ચેડર) છાંટો. ઇચ્છો તો માઇક્રોવેવમાં થોડી સેકન્ડ માટે ગરમ કરો અથવા ઠંડું પણ પીરસી શકો.

કિચન ટિપ્સ 

કુકરના ઉપયોગમાં કેવી કાળજી રાખવી?

 કુકરની સીટી ન વાગે ત્યારે સીલ રિંગ ચેક કરો. જો એ કડક થઈ હોય તો થોડી વાર ઠંડા પાણીમાં પલાળીને પછી ઉપયોગમાં લો.

 કુકર જૂનું થઈ જાય પછી સીટી વાગતી નથી તેથી દર ત્રણ વર્ષે કુકર બદલાવી લેવું.

 ઘણી વાર કુકરમાં પૂરતું પાણી ન હોય તો વારંવાર સીટી વાગે છે. ત્યારે સમજી જવું કે ગૅસ તરત જ બંધ કરવાનો છે. નહીં તો ખોરાક બળી જશે.

 ઍલ્યુમિનિયમના કુકર કરતાં સ્ટીલનું કુકર સ્વાસ્થ્ય માટે વધુ સારું છે.

 ઘણી વાર બધું બરાબર હોવા છતાં સીટી નથી વાગતી. વેન્ટ ટ્યુબ એટલે કે સીટી મૂકવાની જગ્યામાં ખોરાક ફસાઈ જાય છે. એને પિન અથવા પાતળી સળીથી સાફ કરો.

-છાયા ઓઝા

indian food food news mumbai food news life and style columnists gujarati mid day mumbai