21 July, 2026 06:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગ્લોઇંગ સ્કિન અને પર્સનલ ગ્રૂમિંગના જમાનામાં હાથ અને પગ પર સતત વધતી રુવાંટી મોટા ભાગની યુવતીઓ માટે માથાનો દુખાવો બની જતી હોય છે. છાશવારે પાર્લરમાં જઈને પેઇનફુલ વૅક્સિંગ કરાવવું, થ્રેડિંગ કે રેઝરનો ઉપયોગ કરવો એ સમયનો જ બગાડ નથી, ત્વચા માટે પણ એ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેમિકલયુક્ત હેર રિમૂવલ ક્રીમ્સ ત્વચાને કાળી પાડી દે છે. જો તમે પણ આ બધી ઝંઝટથી મુક્તિ મેળવીને કુદરતી ઇલાજ શોધી રહ્યા હો તો સાઇપ્રસ રોટન્ડસ ઑઇલ જેને આપણે ગુજરાતીમાં નાગરમોથાનું તેલ કહીએ એ બહુ કારગત સાબિત થાય છે.
નાગરમોથા આયુર્વેદિક જડીબુટ્ટી છે. એના મૂળમાંથી તૈયાર કરવામાં આવતું આ તેલ ત્વચાના પૉર્સમાં જઈને વાળનાં મૂળને નબળાં પાડે છે. પરિણામે નવા આવતા વાળનો ગ્રોથ ધીમો પડી જાય છે અને ધીમે-ધીમે રુવાંટી એકદમ પાતળી અને સૉફ્ટ થવા લાગે છે.
નાગરમોથાના તેલનો ફાયદો મેળવવો હોય તો એને વાપરવાની રીતને જાણવી બહુ જરૂરી છે. આ માટે સૌથી પહેલાં તમારા હાથ અને પગની રુંવાંટી વૅક્સિંગ, થ્રેડિંગ કે ઍપિલેટરની મદદથી કાઢી લો અને એને બરાબર સાફ કર્યા બાદ નાગરમોથા તેલનાં ટીપાં લઈને હળવા હાથે પાંચથી ૧૦ મિનિટ સુધી મસાજ કરો, જેથી તેલ સ્કિનમાં ઊંડે સુધી ઊતરી જાય. રેઝર કે શેવિંગ કર્યા પછી તમે આ તેલ લગાવશો તો એટલું અસરકારક નહીં રહે, કારણ કે વાળ મૂળમાંથી નીકળવા જરૂરી છે. આગામી વૅક્સિંગ-સેશન આવે ત્યાં સુધી રોજ રાત્રે સૂતાં પહેલાં આ તેલથી મસાજ કરવાનું ચાલુ રાખો. નાગરમોથા માત્ર ઍક્સેસ હેર-ગ્રોથ નથી રોકતું, પણ એમાં ઍન્ટિ-ઇન્ફ્લમેટરી અને ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો હોય છે. એ વૅક્સિંગ પછી થતી બળતરા, રૅશિસ કે ખંજવાળને શાંત કરે છે અને
આ કોઈ કેમિકલ ટ્રીટમેન્ટ નથી એટલે રાતોરાત સારું રિઝલ્ટ મળશે એવી અપેક્ષા રાખવી નહીં. નાગરમોથાનું તેલ નૅચરલ હોવાથી એની અસર ત્રણ-છ મહિના જેટલો સમય લગાવી શકે છે. જો તમે નિયમિત એનો ઉપયોગ કરશો તો તમને ફરક દેખાશે. એક વાત યાદ રાખવી કે કોઈ પણ નવો પ્રયોગ અપનાવતાં પહેલાં સ્કિન પર પૅચ-ટેસ્ટ કરી લેવી હિતાવહ રહેશે. સ્કિનમાં ઇરિટેશન કે બળતરા થાય તો તાત્કાલિક એને સાફ કરી લેવું અને બીજી વાર યુઝ ન કરવું.