જેને તમે સાદી ટેવ સમજો છો, ક્યાંક એ વ્યસન તો નથીને?

25 May, 2026 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે વ્યસનને આપણે સિગારેટ, ગુટકા, કૅફી દ્રવ્યો, દારૂ વગેરેના રૂપમાં જોતા અને સમજતા હોઈએ છીએ; પરંતુ આ બધાં વ્યસનો સિવાય અમુક એવાં સૂક્ષ્મ વ્યસનો પણ છે જેમને આપણે અવગણી દેતા હોઈએ છીએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વર્તમાનમાં આપણે સૌ ખૂબ જ સ્પર્ધાત્મક અને તનાવપૂર્ણ વાતાવરણ વચ્ચે દબાણવાળું જીવન જીવી રહ્યા છીએ જેના પરિણામે આપણે સૌ કોઈક ને કોઈક વ્યસનના બંધાણી બની જઈએ છીએ. એક વૈશ્વિક સર્વેક્ષણ મુજબ મોટા ભાગની વ્યસની વ્યક્તિઓએ પોતાના જાતઅનુભવમાં કહ્યું છે કે વ્યસન કરવાથી તેમને અમુક સમય માટે અત્યંત સુખ અને શાંતિનો અનુભવ થાય છે. અર્થાત્ મોટા ભાગના લોકોની માન્યતા એ છે કે તનાવમુક્ત થવા માટે કોઈક એક પ્રકારનું વ્યસન કરવું તો જરૂરી છે.

સામાન્ય રીતે વ્યસનને આપણે સિગારેટ, ગુટકા, કૅફી દ્રવ્યો, દારૂ વગેરેના રૂપમાં જોતા અને સમજતા હોઈએ છીએ; પરંતુ આ બધાં વ્યસનો સિવાય અમુક એવાં સૂક્ષ્મ વ્યસનો પણ છે જેમને આપણે અવગણી દેતા હોઈએ છીએ. જેમ કે સવારે ઊઠતાની સાથે જ ન્યુઝપેપર વાંચવું, ઇન્ટરનેટ પર વધારે સમય વિતાવવો, મોબાઇલ ફોન પર લાંબી-લાંબી વાતો અથવા તો ચૅટ કરવી, આખો દિવસ યુટ્યુબ જોતા રહેવું, ચા-કૉફી વગરે... વગેરે. આપણામાંથી મોટા ભાગના લોકો આ બધાં વ્યસનોને ‘હાનિકારક ટેવો’ નથી માનતા, પરંતુ આપણે એ તપાસ કરવાની જરૂર છે કે ક્યાંક આપણે ધીરે-ધીરે એ ટેવો પર નિર્ભર તો નથી થતા જતાને? કારણ કે એવી કોઈ પણ આદત, સંસ્કાર અથવા પદાર્થ જે ધીરે-ધીરે આપણને પોતાના કબજામાં કરી લે અને આખરે આપણા માટે અનિવાર્ય થઈ જાય એને સરળ ભાષામાં ‘વ્યસન’ જ કહેવાય છે. એટલે આપણે પોતાની જાતને આ પ્રશ્નો પૂછવા જોઈએ કે શું મને સવારની ચા ન મળવાથી માથાનો દુખાવો થઈ જાય છે કે પછી સવારનું અખબાર હાથમાં ન મળવાથી મને ચીડચીડાપણું મહેસૂસ થાય છે? જો આ પ્રશ્નોનો જવાબ ‘હા’ છે તો પછી આ ખૂબ જ ચિંતાનો વિષય છે.

ખૂબ જ નવાઈની વાત તો એ છે કે આજે આપણે સર્જક પોતાની જ બનાવેલી રચનાના ગુલામ બની ગયા છીએ. આવા સંજોગોમાં આપણી સમક્ષ આધ્યાત્મિકતાનું જ એકમાત્ર એવું તંત્ર છે જે આ કટોકટીને પહોંચી વળવા માટે આપણી સહાય કરી શકે છે, કારણ કે આધ્યાત્મિકતા આપણને પોતાની જાતની સાચી ઓળખાણ કરાવે છે અને સાથોસાથ સર્વોચ્ચ સત્તા પરમાત્મા સાથે સંબંધ બનાવવામાં આપણી સહાયતા કરે છે. એક વખત આપણે પરમાત્મા સાથે જોડાઈ જઈએ છીએ ત્યાર બાદ ક્યારેય પોતાના આંતરિક શૂન્યાવકાશને ભરવા માટે કોઈ પણ બાહ્ય દુન્યવી વસ્તુઓ તરફ નજર નહીં કરીએ તેમ જ એક શાંતિપૂર્ણ અસ્તિત્વ બનાવીને પોતાની બધી જ તૃષ્ણાઓ પર કાબૂ મેળવીને સર્વશક્તિમાનના સાંનિધ્યમાં સદા ઉત્સાહિત થઈને રહીશું. તો ચાલો, આજથી આધ્યાત્મિકતાનું વ્યસન કરીએ જેથી જીવન માટે જોખમી અન્ય તમામ વ્યસનોથી આપણી મુક્તિ થાય.

culture news lifestyle news life and style columnists