અંતિમયાત્રા સામે મળે ત્યારે શું કરવું જોઈએ?

30 August, 2026 02:27 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

અંતિમ વિદાય એવા મૃતદેહને વળાવવાની પ્રક્રિયા ચાલતી હોય એવા સમયે કેટલાક નીતિનિયમો શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે જે જાણવા અને જીવનમાં અમલમાં મૂકવા જેવા છે

અંતિમયાત્રા સામે મળે ત્યારે શું કરવું જોઈએ?

સનાતન હિન્દુ શાસ્ત્રો અને ખાસ તો ગરુડ પુરાણમાં અંતિમયાત્રા સમયના નિયમોનું લંબાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે અને એ પણ કહેવામાં આવ્યું છે કે જો માર્ગ પર અંતિમયાત્રા સામે મળે તો એને અત્યંત શુભ સંકેત માનવો. જોકે એ શુભ સંકેત ત્યારે ફળે છે જ્યારે એના માટેના નિયમોનું પાલન કરવામાં આવે.
અંતિમયાત્રા સામે મળે ત્યારે ચોક્કસપણે એના માટેના નિયમોનું પાલન કરવું જોઈએ, પછી તે સ્ત્રી હોય કે પુરુષ. જો એ નિયમનું પાલન કરવામાં આવે તો શુભ પરિણામ મળે છે.

કરો નમન

અંતિમયાત્રા સામેથી આવતી હોય તો વાહન તરત જ રોકી દેવું અને ચાલતા જતા હો તો એને જવા દેવા માટે જગ્યા કરી આપવી અને સાઇડ પર ઊભા રહી બે હાથ જોડીને મૃતાત્માને નમન કરવા જોઈએ. આ નમન સમયે શાંતિ માટેનો જે મંત્ર આવડતો હોય એનું રટણ કરવું જોઈએ. જો કોઈ મંત્ર ન આવડતો હોય તો ઇષ્ટદેવનું નામસ્મરણ પણ શુભ પરિણામ આપે છે.
આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની આવે તો મનોમન ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’, ‘શ્રી રામ’ કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને દિવંગત આત્માને મોક્ષ મળે એવી પ્રાર્થના કરવી જોઈએ. એ પ્રાર્થના પછી દિવંગતને જો મોક્ષ પ્રાપ્ત થાય તો એનું પુણ્ય એ પ્રાર્થના કરનારાને મળે છે.

યાત્રા સાથે જાઓ

જો શક્ય હોય અને કોઈ ઇમર્જન્સી ન હોય તો વાહન સાઇડ પર રાખીને અંતિમયાત્રા સાથે ચારથી ૭ ડગલાં ચાલવું જોઈએ. શાસ્ત્રો મુજબ અર્થી સાથે થોડાં ડગલાં ચાલવાથી અશ્વમેધ યજ્ઞ જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે મૃતાત્મા છે એના પુણ્યનો પણ લાભ મળે છે. ભલે એ અજાણ્યાની અંતિમયાત્રા હોય, પણ એની સાથે ચાલવાથી લાભ થાય જ થાય છે. થોડું ચાલ્યા પછી એક જગ્યાએ ઊભા રહી, મનોમન ઈષ્ટદેવનું નામ લઈને આખી યાત્રા પસાર થઈ જવા દેવી અને પછી પાછા ફરી જવું જોઈએ.આ પ્રક્રિયા કર્યા પછી જ્યારે પણ તક મળે ત્યારે મસ્તક પર થોડાં ટીપાં પાણી નાખી લેવાનું પણ ગરુડ પુરાણમાં સૂચવવામાં આવ્યું છે.

આપો કાંધ

જો વ્યક્તિ પરિચિત હોય, ઓળખાણ ધરાવતી હોય તો તે વ્યક્તિની અંતિમયાત્રામાં તેને અચૂક કાંધ આપવી જોઈએ. ગરુણ પુરાણ કહે છે કે અર્થીને કાંધ આપવી એ મહાદાન અને કર્મોનાં પાપ ધોનારું કૃત્ય છે. મહત્તમ કાંધ આપનારાને ગંગામાં સ્નાન કરવા જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે. કાંધ આપવાની પ્રક્રિયા અન્યને સોંપવી એ પણ પુણ્યનું કામ ગણવામાં આવે છે.
માર્ગ કરી આપો અંતિમયાત્રા જતી હોય એ દરમ્યાન ધારો કે તમે ઊભા નથી રહી શકતા તો તમારું વાહન ધીમું કરીને એને આગળ જવા માટે માર્ગ કરી આપવો જોઈએ. અંતિમયાત્રા દરમ્યાન જો શક્ય હોય તો અવાજ કે ઘોંઘાટ પણ ન કરવો જોઈએ. જો ફોન ચાલુ હોય તો એ તરત કાપી નાખવો જોઈએ અને કોઈ સાથે વાત ચાલતી હોય તો એ વાત પણ અમુક સમય પૂરતી અટકાવી દેવી જોઈએ. મોટેથી હસવું કે પછી ઝઘડો કરવો એ મૃતદેહનું અપમાન છે. આ અપમાનનું ખરાબ પરિણામ ભોગવવું પડે એવી સંભાવના રહે છે.

અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની હોય એવા સમયે શાસ્ત્રોક્ત અને સામાજિક માન્યતાઓ અનુસાર શરીર પરથી નીચે મુજબની વસ્તુઓ ઉતારી લેવાની કે ન પહેરવાની સલાહ આપવામાં આવે છે 
એમાં સૌથી પહેલાં સોના-ચાંદીના દાગીનાને ગણાવવામાં આવ્યા છે. સોનું-ચાંદી પવિત્ર ધાતુ છે. એ નકારાત્મકતા સૌથી પહેલાં ગ્રહણ કરે છે એટલે શક્ય હોય ત્યાં સુધી દાગીનાઓ ઘરે જ ઉતારી લેવા જોઈએ. ધારો કે એ પહેરીને પહોંચી પણ ગયા હો તો ઘરે પાછા આવ્યા પછી એ દાગીનાને ગંગાજળમાં કે પછી દૂધમાં ૨૪ કલાક માટે ઝબોળી રાખવા જોઈએ. આ ઉપરાંત જો શરીર પર કોઈ ગ્રહના સ્ટોન, ક્રિસ્ટલ કે રુદ્રાક્ષ પહેર્યા હોય તો એ પણ ઉતારી લેવા જોઈએ.
આ ઉપરાંત ચામડાની વસ્તુઓ જેવી કે બેલ્ટ, પર્સ, વૉલેટ કે અન્ય ઍક્સેસરીઝ સાથે ન રાખવી જોઈએ. એ બૅક્ટેરિયા ગ્રહણ કરવામાં અગ્રેસર રહે છે એટલે એ પણ ઘરે કાઢી નાખવાં જોઈએ.
સ્મશાને ઘડિયાળ પણ ન પહેરવી જોઈએ. સમય હંમેશાં બાંધવાનું કામ કરે છે. નકારાત્મક સમય ઘડિયાળ પોતાની સાથે રાખે છે એટલે શક્ય હોય તો ઘડિયાળ પણ ઘરે મૂકીને જવી જોઈએ.

lifestyle news life and style hinduism religion culture news