શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં કર્મને યજ્ઞની ઊંચાઈ પર પહોંચાડવાની વાત કરે છે

05 June, 2026 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકવીસમી સદીમાં આ વિષાદમાંથી મુક્ત થવા અને પ્રસન્નતાનો પ્રસાદ પામવા માટે શ્રીકૃષ્ણના ચરિત્ર જેવું ઉપયુક્ત ચરિત્ર બીજું કોઈ ન હોઈ શકે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શ્રીમદ્ ભગવદ્ગીતાનો પ્રારંભ જ પ્રથમ અધ્યાય વિષાદયોગથી થાય છે. અર્જુનની વાત સાંભળીએ તો આપણને એમ લાગે કે અર્જુનના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અને એટલા માટે તે યુદ્ધ ન કરવાની વાત કરે છે. જોકે ભગવાન શ્રીકૃષ્ણ સારી રીતે જાણે છે કે એ તેનો વૈરાગ નથી અને એ વિષાદનું કારણ છે મોહ.

એકવીસમી સદીમાં પણ પ્રસાદ માટે માણસને ઝંખના છે, પણ તે મોટા ભાગે વિષાદનો શિકાર બનતો હોય છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. જીવનમાં બધું જ હોવા છતાં, કોઈ પણ ભૌતિક સુખની ઊણપ ન હોવા છતાં માણસના જીવનમાં પ્રસન્નતા નથી. અંતરનો કોઈ ખૂણો વણપુરાયેલો રહે છે જેને કારણે અશાંત અને વિષાદગ્રસ્ત માણસ બધું જ મેળવ્યા પછી પણ જાણે સાવ નિષ્ફળ હોય, ખાલી હોય એવું અનુભવે છે. એટલા માટે મહત્ત્વનું એ નથી કે તમારી પાસે કેટલું છે? મહત્ત્વનું એ છે કે તમે કેટલો એનો આનંદ પ્રાપ્ત કરો છો?

એકવીસમી સદીમાં આ વિષાદમાંથી મુક્ત થવા અને પ્રસન્નતાનો પ્રસાદ પામવા માટે શ્રીકૃષ્ણના ચરિત્ર જેવું ઉપયુક્ત ચરિત્ર બીજું કોઈ ન હોઈ શકે.

જે કર્મ આપણને આનંદ અને આંતરિક સંતોષથી યુક્ત કરે એ કર્મ યોગની ઊંચાઈને પામે છે. એ જ કર્મયોગ છે. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં તો ‘સમત્વ યોગ ઉચ્યતે’ની વાત કરે છે એટલે કે સફળતા અને નિષ્ફળતા બન્નેમાં માનસિક ક્ષમતાને ટકાવી રાખીને માણસ નિરંતર કર્મરત રહે એ કર્મયોગ છે.

મહત્ત્વની વાત એ છે કે તમારું કર્મ તમને આનંદરૂપ ઈશ્વર સાથે જોડે છે, એનાથી યુક્ત કરે છે. જેને આપણે જૉબ સૅટિસ્ફૅક્શન કહીએ છીએ એ આપણા જીવનમાં છે? તો કર્મયોગની ઊંચાઈને પામે. એક તો કરવાયોગ્ય કર્મ હોવું જોઈએ અને સત્ય સ્વરૂપ ઈશ્વર સાથે, આનંદ સ્વરૂપ સાથે એ કર્મ આપણને યુક્ત કરતું હોવું જોઈએ. તો જ તે કર્મયોગ બને અને આવો જે કર્મયોગ છે ત્યાં મૂડીવાદી લોકો ન જાય, પણ સુખને મહત્ત્વ આપે. કર્મ કરવાથી જે આનંદ મળે, જે સંતોષ થાય, કૃતકૃત્યતાનો જે અનુભવ થાય એ જ સૌથી મોટું પરિણામ છે કર્મયોગનું.

ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં કર્મને યજ્ઞની ઊંચાઈ પર પહોંચાડવાની વાત કરે છે.

શ્રીકૃષ્ણ નામ કહીએ અને મોરપીંછ યાદ આવે, કૃષ્ણ બોલીએ અને મોરલી યાદ આવે, કૃષ્ણ બોલીએ અને ગાય યાદ આવે, કૃષ્ણ બોલીએ અને રાધા યાદ આવે, કૃષ્ણને યાદ કરીએ અને તેમના સુદર્શનનું સ્મરણ થાય. આ બધી વાતો શ્રીકૃષ્ણ સાથે અભિન્નપણે જોડાયેલી છે. એ સાંકેતિક પણ છે અને તેથી એમ કહી શકાય કે શ્રીકૃષ્ણના મસ્તક પર રહેલું મોરપીંછ અનાસક્તિનું સૌંદર્ય છે.

culture news lifestyle news life and style columnists